Vadodara: મેયરે મોટા ઉપાડે સ્વચ્છતા અભિયાનની (Swachhata Abhiyan) જાહેરાત તો કરી નાખી. પરંતુ શહેરમાંથી દરરોજ નીકળતો કચરો અને તેના નિકાલની રીત સામે અનેક શંકા-કુશંકા છે. સ્વચ્છતા અભિયાનની જાહેરાત સામે ડંપિગ સાઇટના દ્રશ્યો ઘણા વિકરાળ અને ગંભીર છે. સ્વચ્છતા અભિયાનની જાહેરાત બાદ હવે શહેરમાંથી ભેગા થતા કચરા અને તેના નિકાલનું ગણિત સમજીએ.
વડોદરામાંથી હાલ દરરોજ 1050 મેટ્રિક ટન કચરો ઉઘરાવવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં 42 લાખ મેટ્રિક ટનથી વધારે કચરો ડમ્પિંગ સાઇટ ખાતે ઠાલવવામાં આવ્યો છે. જ્યારે કે, ડમ્પિંગ સાઇટની મર્યાદા 4 લાખ મેટ્રિક ટનની જ છે. એટલે એક વાત તો સાબિત થઇ કે, શહેરભરનો કચરો જ્યાં ઠાલવવામાં આવે છે, તે ડમ્પિંગ સાઇટ જ ફૂલ છે. કચરો એ હદે ડુંગરનું સ્વરૂપ લઇ રહ્યો છે કે શહેરના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે.
અટલાદરા બાદ હાઇવે પર શહેરના છેવાડે જ્યારે જાંબુઆ ખાતે વર્ષ 2010 માં ડમ્પિંગ સાઇટ ઉભી કરવામાં આવી, ત્યારે આ ડમ્પ સાઇટ 20 વર્ષ સુધી ચાલશે તેવો દાવો કરાયો હતો. પરંતુ માત્ર 10 વર્ષમાં જ ડમ્પિંગ સાઇટની 4 લાખ મેટ્રિક ટનની મર્યાદા સામે 42 લાખ મેટ્રિક ટનથી પણ વધારે જથ્થો અહીં ઠલવાઇ ચૂક્યો છે.
જ્યારે મેયરને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે બાયો ડિમેટિશન પદ્ધતિથી જાંબુઆ ડમ્પિંગ સાઇટની લેન્ડ ફિલ એટલે કે ભરાવ ક્ષેત્રમાં ઘટાડો થાય તેવા પ્રયાસો શરૂ હોવાનું કહ્યું.
સ્વચ્છતા અભિયાન વચ્ચે જો ડમ્પિંગ સાઇટ ક્લિઅર થાય તો જ કાયમી અને નક્કર સમાધાન મળી શકે છે. પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણની મોટી મોટી વાતો વચ્ચે, જે રીતે કચરાનો ઢગ ઊંચે જઇ રહ્યો છે. તેનાથી જમીનના તળમાં પણ પ્રદૂષણ ફેલાયા છે, જેનાથી શહેરના પર્યાવરણપ્રેમીઓ ચિંતિત થયા છે.
આ પણ વાંચો: Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીમાં ‘યુથ પાર્લામેન્ટ’ મળી, ચર્ચા કરવામાં આવી નવી શિક્ષણ નીતિ પર