VADODARA: બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ યથાવત, નાણાવટી ચાલીના સ્થાનિકોએ કર્યો વિરોધ
VADODARA માં પંડ્યા બ્રિજ નજીક નાણાવટી ચાલીના સ્થાનિકોએ અનેક વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે વિરોધ નોંધાવ્યો છે.
VADODARA માં બૂલેટ ટ્રેનને લઈને વિરોધ યથાવત છે. પંડ્યા બ્રિજ નજીક નાણાવટી ચાલીના સ્થાનિકોએ પ્રજાસત્તાક દિવસ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. નાણાવટી ચાલીના સ્થાનિકોએ માનવ સાંકળ રચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. નાણાવટી ચાલીના સ્થાનિકોનું કહેવું છે કે તેઓ વિકાસના કામમાં સાથ આપશે, પરંતુ સરકારે તેમને વિશ્વાસમાં લીધા નથી. નાણાવટી ચાલીના સ્થાનિકોએ કહ્યું કે સરકાર જમીન સંપદાનનું યોગ્ય વળતર આપે અને તેમના બાળકોનું ભણતર ન બગડે તે અંગે પણ સરકાર વિચારે.
નાણાવટી ચાલીના સ્થાનિકોનો આક્ષેપ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં તેમની જમીન, દુકાનો અને મકાનો જતા રહેશે, સરકાર નાણાવટી ચાલીના સ્થાનિકોના પુનર્વસન માટે અને ધંધા-રોજગારની પુનઃ સ્થાપના માટે વ્યવસ્થા કરી આપે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે નાણાવટી ચાલીના સ્થાનિકોએ અનેક વખત વિરોધ નોંધાવ્યો છે. ગત સપ્તાહે પણ કલેક્ટર કચેરી ખાતે આ જ મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.