
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ, કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન પાસે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યની હદમાં આવેલ નેશનલ હાઇવે ઉપર વસૂલવામાં આવતા ટોલ ટેક્સ અને તે જ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમામં નેશનલ હાઇવેના બાંધકામ અને જાળવણી માટે રાજ્યને ફાળવાયેલા ભંડોળની વિગતો માંગી હતી.
વધુમાં, તેમણે ગુજરાતના હાઇવે પ્રોજેક્ટ્સ, ખાસ કરીને મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીંસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર હાલ ચાલી રહેલું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમયમર્યાદા વિશે પણ પૃચ્છા કરી હતી. આ ઉપરાંત, નથવાણી ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે સહિત ગુજરાતના મુખ્ય હાઇવે રૂટ પર પડેલા અસંખ્ય ખાડા અને તુટી ગયેલા રોડના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં વિશે પણ જાણકારી માંગી હતી.
પરિમલ નથવાણીએ માંગેલ વિગતો અંગે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે.
| નાણાકીય વર્ષ | ગુજરાતના નેશનલ હાઈવે પરથી ટોલ કલેક્શન | ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાણવણી માટે કરાયેલી ફાળવણી |
| 2020-21 | 3178.58 | 7533 |
| 2021-22 | 3744.36 | 10710 |
| 2022-23 | 4090.04 | 9831 |
| 2023-24 | 4394.82 | 10900 |
| 2024-25 4 | 975.20 | 8262 |
NH-48ના વાપી-સુરત અને સુરત-ભરૂચના સ્ટ્રેચ વિશે માહિતી આપતા, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સિક્સ-લેનિંગ કાર્ય પૂર્ણ થયા બાદ તે બધા રોડ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) મોડ પર જાળવણી હેઠળ છે. 16 પુલ અને ફ્લાયઓવર તેમજ વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીના લેખિત જવાબમાં માહિતી અપાઈ હતી કે, NH-48ના ભરૂચ-વડોદરા સ્ટ્રેચનું સિક્સ-લેનિંગ કામ વર્ષ 2011માં પૂર્ણ થઈ ગયું છે અને હાલમાં તે PBMC મોડ પર જાળવણી હેઠળ છે. અહીં 07 પુલ અને ફ્લાયઓવર તેજ વાહન અંડરપાસના બાંધકામનું કામ પ્રગતિ હેઠળ છે, જે ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જ્યારે, વડોદરા-અમદાવાદ વચ્ચેના સિક્સ-લેનિંગ કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને તે BOT હેઠળ છે. શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે, એમ જણાવવામાં આવ્યું હતું.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી નીતિન ગડકરીએ એવી પણ માહિતી આપી હતી કે NH-27ના રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ પ્રગતિ હેઠળ છે અને જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. હાલ રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ ગુજરાત સરકારના અધિકારક્ષેત્ર હેઠળ છે અને તેમના પોતાના બજેટ સંસાધનો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે. તદુપરાંત ,દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ પણ અમલીકરણ હેઠળ છે જે માર્ચ-2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, તેવી માહિતી આપવામાં આવી હતી.