જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશે (Chief District Judge) લોક અદાલતની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, અદાલતોમાં વધતા જતા કેસોના હકારાત્મક અભિગમ સાથે ઉકેલ આવે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. પક્ષકારો વચ્ચે જે પણ કોઈ મનદુઃખ છે તેનો સુખદ ઉકેલ અને સુખદ અંત આવે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. અદાલતમાં ચુકાદો આવે પછી એની અપીલ કરી શકાતી નથી. આ લોક અદાલતનો (Lok Adalat) મુખ્ય હેતુ એ છે કે, આ ટ્રાયલ કોર્ટમાં જ લોકોની તકરારનો અંત આવે અને થોડું જતું કરવાની ભાવના રાખી પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થાય એવી હેતુ રહેલો છે.
વર્ષ 1983થી લોક અદાલતની શરૂઆત જુનાગઢથી આખા દેશમાં કરવામાં આવી હતી. કોર્ટની અંદર કેસો ચાલે અને લોકોનો સમય પણ ન બગડે તે માટે લોક અદાલત શ્રેષ્ઠ માધ્યમ છે. લોકોને જે પણ મનદુખ હોય તે કાઢી નાંખવું જોઈએ. સમાધાન કરવાથી કોઈ હારતું નથી અને કોઈ જીતતું નથી.
તાલુકા સેવા સમિતિ અને મુખ્ય સિનિયર સિવિલ જજ એ.એસ.પાંડેએ જણાવ્યું હતું કે, આ લોક અદાલત લોકોની લોકો દ્વારા અને લોકો માટે ચાલતી નેશનલ લોક અદાલત છે. જુનાથી જુના કેસોનું નિરાકરણ આવે તેવો લોક અદાલતનો હેતુ છે.
આ લોક અદાલતમાં દિવાની દાવા, ભારતીય ફોજદારી કેસો, અકસ્માત વળતરના કેસો, વિજળી બીલના કેસો, પ્રોહિબિશન કેસો, જુગારના કેસો, ચેક બાઉન્સના કેસો અને બેંકો તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કેસોમાં પ્રિ-લીટીગેશનના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં થતા સમાધાનનો નિર્ણય આખરી નિર્ણય માનવામાં આવે છે.
નેશનલ લોક અદાલતમાં (National Lok Adalat) સમાધાનથી નિકાલ થયેલા કેસોમાં જો સ્ટેમ્પ ફી ભરેલી હોય તો તેમાં પણ રીફંડ આપવામાં આવે છે. નેશનલ લોક અદાલતમાં સમાધાન માટે કોઇ ફી આપવાની હોતી નથી. તાપી જિલ્લામાં પેન્ડીંગ કેસોમાં (Pending cases) લોક અદાલતમાં કુલ 3127 કેસોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.
Input Credit- Neerav Kansara (Tapi)