સુરેન્દ્રનગર જીલ્લામાં (Surendranagar) ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ તથા આજુબાજુના વિસ્તારમાં લમ્પી વાયરસે દેખા દીધી છે. આ વાયરસને કારણે એક દિવસમાં છ થી સાત પશુના મૃત્યુ થઈ રહ્યા છે. લમ્પી વાયરસથી (Lumpy Virus) કોંઢ ગામના 50 % જેવા પશુ આ વાયરસની અસર છે. ત્યારે પશુની સારવાર માટેનું કોંઢ પશુ દવાખાનુ પણ બંધ હાલતમાં છે. ગામલોકોના જણાવ્યા મુજબ, આ ગંભીર વાયરસના કારણે છેલ્લા પંદર દિવસમાં 150 પશુઓના મોત થયા છે. ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી. તેમજ પશુઓની સ્થિતી જોતા એમબ્યુલન્સ માટે ફોન કરવામાં આવે તો ઉડાઉ જવાબ મળે છે. તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ રોગ જામનગર, કચ્છ અને પોરબંદરમાં જોવા મળી ચૂક્યો છે. હવે, સુરેન્દ્રનગર જીલ્લામાં પણ આ વાયરસ જોવા મળતા ગામના લોકોમાં ચિંતા ઉઠી છે.
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પશુઓમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાયરસથી થાય છે. જે વાયરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઈતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે. રોગના લક્ષણોમાં રોગના વાયરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે. જેમ કે પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે. મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે.
રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ 2થી 3 અઠવાડિયામાં સાજુ થઈ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબ જ ઓછો 1થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી. આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.
આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા, પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓના ઉપયોગથી માખી, મચ્છર અને ઈતરડીનો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઈ પશુ લાવવું નહીં. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
Published On - 1:38 pm, Thu, 7 July 22