સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આવેલી આગ દરમિયાન બે LPG ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રચના સર્કલ નજીક આવેલ આ કારખાનામાં અચાનક આગ લાગી હતી, જે થોડા જ સમયમાં વિકરાળ બની સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ. આગને કારણે કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકો બચવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. આગની તીવ્રતા વધતા કારખાનામાં રહેલા બે ગેસ સિલિન્ડર વિસ્ફોટ સાથે ફાટ્યા, જેના કારણે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે મહેનત બાદ ફાયર ટીમે 11થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
આગની ગંભીરતા ધ્યાનમાં રાખીને સુરતના સાત ફાયર સ્ટેશનમાંથી દસથી વધુ ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સતત પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.
પ્રાથમિક તપાસ મુજબ સિલિન્ડર વિસ્ફોટને કારણે જાનહાનિ વધી હોવાનું સામે આવ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણ હોવાની શક્યતા તપાસ હેઠળ છે. આ ઘટનાએ શહેરમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ અને નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.
અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારે આંધી જેવો માહોલ, જુઓ Video