Surat : સુરતીઓની ચિંતા થઇ ઓછી, તાપીમાં પાણી છોડવાનું ઓછું કરાયું, જળસ્તરમાં ધીરે ધીરે થશે ઘટાડો
તાપી (Tapi )નદીમાં પણ ધીરે ધીરે પાણીનું જળ સ્તર ઓછું થતા વોક વે અને રિવરફ્રન્ટ પરથી પણ પાણી ઓસરી ગયા છે. જેને કારણે ફરી વાર શહેરીજનો આજે અહીં લટાર મારતા નજરે ચડ્યા હતા.
ઉકાઈ (Ukai )ડેમના ઉપરવાસમાં મેઘરાજાના (Rain ) આંશિક વિરામ વચ્ચે ઈનફ્લો આજે બપોરે ઘટીને એક લાખ કયુકેસ સુધી પહોંચ્યો છે જ્યારે ઉકાઈ ડેમની સપાટી પણ 333.42 ફુટ નોંધાવા પામી છે. હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડીને 53 હજાર ક્યુસેક કરવામાં આવતાં તાપી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે બપોરે કોઝવેની સપાટી ઘટીને 8 મીટરની નજીક પહોંચી ચુકી છે. જોકે, આજે સવારથી શહેર – જિલ્લામાં ઉમરપાડાને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અદ્રશ્ય જોવા મળ્યો હતો.
ફ્લડ કંટ્રોલના જણાવ્યા અનુસાર આજે સવારથી સુરત શહેર – જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં માત્ર હળવા વરસાદી ઝાંપટાને બાદ કરતાં તમામ વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ નોંધાવ્યો છે. ઉમરપાડા તાલુકામાં આજે સવારે 6થી બપોરે 12 કલાક સુધીમાં 10 મીમી વરસાદને બાદ કરતાં તમામ તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે.
બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં અને હથનુર ડેમમાંથી પણ છોડવામાં આવતાં પાણીમાં ઘટાડો થતાં સીધી અસર ઈનફ્લો પર જોવા મળી છે. આજે બપોરે ઉકાઈ ડેમનો ઈનફ્લો 1.11 લાખ ક્યુસેક નોંધાવા પામ્યો છે અને ઉકાઈ ડેમની સપાટી હાલ 333.42 ફુટ છે. આ સ્થિતિ વચ્ચે હવે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો છે અને હાલ માત્ર 53 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ સ્થિતિને પગલે તાપી નદીની સપાટીમાં પણ ઘટાડો થતાં નીચાણવાળા વિસ્તારના નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી કોઝવેની સપાટી 9 મીટરથી ઉપર પહોંચતા સુરત મહાનગર પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે હનુમાન ટેકરી અને ભરીમાતા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા. જે હવે કોઝવેની સપાટીમાં ઘટાડો થતાં ફરીથી ખોલવામાં આવ્યા છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. અને ઉપરવાસમાં પણ વરસાદનું જોર ઘટતા તંત્રને મોટી રાહત થઇ છે. તાપી નદીમાં પણ ધીરે ધીરે પાણીનું જળ સ્તર ઓછું થતા વોક વે અને રિવરફ્રન્ટ પરથી પણ પાણી ઓસરી ગયા છે. જેને કારણે ફરી વાર શહેરીજનો આજે અહીં લટાર મારતા નજરે ચડ્યા હતા.