Surat : છેલ્લા 14 મહિનાથી સુરત (Surat) સહિત આખા દેશને કોરોનાએ પોતાના અજગરી ભરડામાં લીધો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ની તિજોરી પર કોરોના મહામારીની અસર જોવા મળી છે. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે.
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટો પણ હવે ધૂળ ખાઈ રહ્યા છે. સતત ઘટી રહેલી આવક વચ્ચે આ પ્રોજેક્ટના ખર્ચને પહોંચી વળવા માટે આગામી દિવસોમાં મનપાના વિકાસ કાર્યો પર તેની પ્રતિકૂળ અસર થાય તો નવાઇ નહીં.
હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાણીસંગ્રહાલય (Zoo), એક્વેરિયમ (Aquarium) અને સાયન્સ સેન્ટર (Science Center) જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. પણ કોરોનાની અસરને કારણે હાલ આ પ્રોજેક્ટ બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ પ્રોજેક્ટ હાલ ધુળ ખાઈ રહયા છે.
14 મહિનામાં ગણ્યાગાંઠ્યા દિવસો પૂરતા જ આ પ્રોજેક્ટ ખુલ્યા હતા. જેના કારણે તેની સીધી અસર મહાનગર પાલિકાની આવક પર પણ જોવા મળી છે. કોરોના પહેલા દર વર્ષે કરોડો રૂપિયા રળી આપતા આ પ્રોજેક્ટ હવે મુલાકાતીઓના અભાવે પાલિકાને આવક રળી આપવામાં નિષ્ફળ નીવડયા છે. તો બીજી બાજુ તેનો ખર્ચ પણ પાલિકાના માથે પડ્યો છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં છ ઓડિટોરિયમ બનાવવામાં આવ્યા હતા. જે નાગરીકો અને સંસ્થાઓને ખાનગી ઉપયોગ માટે ભાડે આપીને મનપા દર વર્ષે 4 થી 5 કરોડ રૂપિયાની આવક રળતું હતું. પરંતુ કોરોનાની (Corona) મહામારીમાં તમામ ઓડિટોરિયમ (Auditorium) પણ શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે.
આખા વર્ષ દરમિયાન આ તમામ પ્રોજેક્ટ થકી મહાનગરપાલિકાને માત્ર પાંચ લાખ જેટલી આવક થઈ છે. જેની સામે સિક્યુરીટી સ્ટાફ અને મેઇન્ટેનન્સ પાછળ જ લાખોનો ખર્ચ મહાનગરપાલિકાને પડ્યો છે.