સુરત શહેરનો સૌથી વ્યસ્ત(Busiest ) અને 24 કલાક વાહનોથી(Vehicles ) ધમધમતા રહેતા રિંગરોડ ફ્લાયઓવર(Flyover ) બ્રિજની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે. ત્યારે ફ્લાયઓવર બ્રિજની રિંગરોડ ઉપર સહારા દરવાજા પાસે બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું કામ પણ હવે અંતિમ તબક્કામાં છે. મનપા દ્વારા આગામી ૨૫ જૂન સુધીમાં રિંગરોડ ખુલ્લો મુકાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શાસકોએ તાત્કાલિક બ્રિજ ખુલ્લો મુકવા આદેશ કરતા હવે માત્ર એક જ સપ્તાહમાં રિંગરોડ અને સહારા દરવાજા બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે બંને ઓવરબ્રિજ ખુલ્લા મુકાયા બાદ સહારા દરવાજાની ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવી જશે તેમાં કોઈ બે મત નથી.
રિંગરોડ પર આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર ફ્લાય ઓવ૨બ્રિજની સુપર સ્ટ્રક્ચર લિફ્ટીંગ – બેરિંગ રિપ્લેશમેન્ટ સહિતની કામગીરીને પગલે ગત તારીખ 9મી માર્ચથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. 16 જુન સુધી રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવા તારીખ નિર્ધારિત કરાઈ હતી પરંતુ હજુ બીજા વધારાના 10 દિવસની માંગણી કરવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે વહીવટી તંત્ર દ્વારા આગામી ૨૫મી જુન સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરંતુ શાસકોએ તાત્કાલિક ધોરણે વરસાદ શરુ થાય તે પહેલા બંને ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવા જણાવી દીધું હતું. જેથી હવે આગામી માત્ર એક જ સપ્તાહમાં ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. સુરત શહેરના કાપડ બજારને પગલે રિંગરોડ ફ્લાય ઓવર બ્રિજ વાહન ચાલકો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. જોકે, છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી બ્રિજની રિપેરિંગની કામગીરીને પગલે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સેંકડો કાપડ માર્કેટોમાં રોજીંદા હજ્જારો મુલાકાતીઓના આવાગમનને પગલે પીક અવર્સમાં રિંગરોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ કાયમી થઈ ચુકી છે ત્યારે હવે વધુ એક પખવાડિયા સુધી લોકોએ આ હાલાકીનો સામનો કરવો પડશે. અલબત્ત, વહીવટી તંત્ર દ્વારા બ્રિજ નીચે બન્ને તરફ આવેલ રોડ પર વાહન પાર્ક કરવા સાથે માલસામાનના લોડિંગ – અનલોડિંગ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતાં પણ ઘણી વખત ટ્રાફિક જામની સ્થિતિ વિકરાળ બની રહે છે. રિંગરોડ પર આવેલા ફ્લાય ઓવર બ્રિજ સાથે સંકળાયેલા સહારા દરવાજા રેલવે ફ્લાયઓવર બ્રિજની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે.