
Surat: શહેર પોલીસ દ્વારા એક નવો ચીલો ચીતરવામાં આવ્યો છે. તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરી, લૂંટ કે, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓમાં આરોપીઓને પકડ્યા બાદ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવીને પોલીસ જાતે જે ફરિયાદીનો મુદામાલ છે તેનો સંપર્ક કરી તેમનો મુદ્દામાલ પરત કરે છે.
ત્યારે સુરતના ખટોદરા સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી લૂંટ અને સાયબર ક્રાઇમ તેમજ ઘરફોડના નવ જેટલા વિવિધ ગુનાઓમાં આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલો ફરિયાદીનો મુદ્દામાલ તેમને પરત કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડિશનલ પોલીસ કમિશનર પ્રવીણ માલ તેમજ DCP સાગર બાગમારના હસ્તે ફરિયાદીઓને રિકવર કરવામાં આવેલો મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી પોલીસ દ્વારા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરાયો હતો.
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નાગરિકો જ્યારે કોઈપણ ગુનાનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરત પોલીસ માટે એક મોટો પડકાર હોય છે અને સુરત પોલીસે અને અધિકારીઓ આ બાબતે મહેનત કરીને વિવિધ કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીઓને મુદ્દામાલ અર્પણ કરવામાં આવ્યો છે. તેમને એવું પણ જણાવ્યું હતું કે પોલીસની ધ્યાન બાર કોઈ પણ કેસ જતો નથી.
આ નવ કેસમાં એક કેસ એવો છે કે એક મહિલાની ચેઇન 2011 માં ગઈ હતી તેના આરોપી પાસેથી આ ચેઇન રિકવર કરી મહિલાને અર્પણ કરવામાં આવી છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો અને પોલીસ વચ્ચે જે સહકારનો સેતુ બંધાઈ રહ્યો છે, તે સૌથી મોટી વાત છે કારણ કે કેટલાક નાગરિકો ભોગ બનનાર પણ હોય છે અને સાહેદ પણ હોય છે અને દરેક રીતે પોલીસને માહિતી પ્રજામાંથી જ મળતી હોય છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો