Surat: સુરતમાં ઓલપાડમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેમાં મીની ટ્રેક્ટરની લોટરીમાં એક ખેત મજૂર ફસાયો હતો. જેને મહામહેનતે સુરત ફાયર વિભાગે બહાર કાઢીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુમાં મળતી માહિતી પ્રમાણે ઓલપાડના અરિયાણા ગામમાં રહેતા અને ખેતમજૂર તરીકે કામ કરતા મનોજકુમાર પીરજીભાઈ રાઠોડ આજે સવારે ખેતવાવણીનું કામ કરી રહ્યા હતા.
મીની ટ્રેકટર પર ખેતરમાં વાવણીનું કામ કરતી વખતે અચાનક જ મનોજભાઈના પગ અને કમરનો ભાગ ટ્રેક્ટરની લોટરીમાં ફસાઈ ગયો હતો. તેમણે બુમાબુમ કરતા આસપાસના બીજા ખેત મજૂરો અને લોકો દોડી આવ્યા હતા. જોકે તે ખૂબ જ ગંભીર રીતે ટ્રેક્ટરમાં ફસાયેલો હોવાથી તેને બહાર કાઢવો સામાન્ય લોકો માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. બીજી બાજુ સતત લોહી વહેતા ગ્રામજનો પણ ચિંતિત બન્યા હતા. જેથી તેઓએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના સુરત ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો.
સુરત ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને ખેતમજૂરની સ્થિતિને સમજીને ટ્રેક્ટરને કટરથી કાપીને તેને બહાર કાઢવાનું નક્કી કર્યું હતું. ખેતમજૂર એવી રીતે ફસાયો હતો કે તેને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ પણ ફાયરના જવાનોએ સાવચેતીપૂર્વક કરવો પડે તેમ હતો. છતાં ફાયર વિભાગના જવાનોની કુનેહથી કટર વડે લોટરી ને કાપવામાં આવ્યું હતું અને સલામત રીતે ખેતમજૂરને બહાર કાઢવામાં આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Published On - 2:13 pm, Wed, 6 July 22