સુરત(Surat)-નવસારી મેઈન રોડ પર ખરવરનગર જંકશન ખાતે આવેલા ફ્લાયઓવર બ્રિજનો(Fly Over Bridge)એક ભાગ સોમવારથી સમારકામ(Reparing)માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે આ બ્રિજ બંધ થતાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 19 જુલાઇ સુધી વાહનચાલકોને આવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.મહાનગરપાલિકા દ્વારા ખરવરનગર ફ્લાયઓવર બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે સોમવારથી 19 જુલાઇ સુધી નવસારીથી સુરત સુધીનો ભાગ બંધ રાખવામાં આવ્યો છે.
ફ્લાયઓવરનો એક ભાગ બંધ થવાના કારણે સાંકડા સર્વિસ રોડ પર વાહનોનો ભાર આવી ગયો છે. આવી સ્થિતિમાં પ્રથમ દિવસે જ વાહનચાલકોને જામનો સામનો કરવો પડ્યો હતો. સવારથી સાંજ સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. ઉધનાથી ત્રણ રસ્તે જ વાહનોનો ચક્કાજામ જોવા મળ્યા હતા. ઉધના ત્રણ રસ્તાથી ઉધના દરવાજા સુધીનું અંતર કાપવામાં વાહનચાલકોને એક કલાકથી વધુ સમય લાગ્યો હતો. જોકે 19મી જુલાઈ સુધી બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનચાલકોને આગામી ઘણા દિવસો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.
ખાસ કરીને પિક અવર્સમાં સૌથી વધુ ટ્રાફિક જામ સર્જાતા લોકોના કલાકોના કલાકો બગડે છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ શહેરના રિંગરોડ ખાતે આવેલા સહારા દરવાજા ફલાયોવર બ્રિજ અને મલ્ટિલેયર બ્રીજનું કામ ચાલતું હોવાથી તે બ્રિજ પણ દોઢ મહિના સુધી બંધ રહ્યો હતો, જેના કારણે લોકોને પણ ખાસી હેરાનગતિ થઈ હતી. જ્યારે પણ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ લોકોને તેમાંથી મોટી રાહત મળી છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે જૂના થઈ ગયેલા બ્રીજોનું સમારકામ હાથ ધરવામાં આવે છે. આ બ્રિજ પણ 2012 માં બન્યો હોય તેનું રીપેરીંગ જરૂરી લાગતા કોર્પોરેશનના બ્રિજ સેલ દ્વારા તેને 19 જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.