Surat : સુરત સિવિલ હોસ્પિટલ (Surat civil hospital) ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર બાદ હવે કોરોના કાળમાં ઉપયોગમાં લેવાયેલા રોબોટ (Robot) અને ફાયરના સાધનો (Fire instruments) ધૂળ ખાતા નજરે પડ્યા છે. આ અંગે આરએમઓ દ્વારા લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, હાલ આ મશીનો ઉપયોગમાં લેવામાં આવતા નથી. જેથી તેને સ્ટોર રૂમમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે સાફ સફાઈ પણ કરવામાં આવે છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન કોરોનાના દર્દીઓને દવા આપવાથી લઈને સમગ્ર કામગીરી કરવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રોબોટ સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યો હતો. હાલ તો કોરોના મહામારી નથી રહી અને ઘણા મહિનાઓથી કોરોના કાળ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સાધનો પડી રહ્યા છે. જેમાં પહેલા વેન્ટિલેટર ધૂળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે કોરોના વોરિયર એવા રોબોટ નર્સ ધૂળ ખાતું હોવાનું સામે આવ્યું છે.
આ અંગે આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે, રોબોટ મશીન કોરોના કાળમાં ખૂબ ઉપયોગી હતું. હાલ આ રોબોટનો ઉપયોગ કરવામાં આવતો નથી. જોકે ભવિષ્યમાં આ રોબોટની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જેથી તેને સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યો છે, અને સમયાંતરે રોબોટ સહિતના સાધનોની સાફ સફાઈ કરવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફાયરનાં જે સાધનો પીઆઈયુ દ્વારા ફાળવવામાં આવ્યા છે. જે પણ હાલ ઉપયોગમાં નથી. આ મશીન ફાયરના એનઓસી માટે કામમાં આવે છે. દર 6 તારીખે કામમાં લેવામાં આવે છે. હાલ બે બિલ્ડિંગમાં વોર્ડ વિભાજિત થવાના છે. જેથી થોડા મશીનો બંને બિલ્ડિંગમાં ફાળવવામાં આવશે. આ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ સમયાંતરે સાફ સફાઈ પણ કરવામાં આવે છે.