Surat: એવું કહેવાય છે કે, એક શિક્ષક આજીવન એક વિદ્યાર્થી અને શિક્ષક જ રહે છે. શિક્ષક ક્યારેય પણ સાધારણ હોય શકતો જ નથી. સુરતમાં આવી જ એક શિક્ષિકાએ આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે. શાળામાંથી નિવૃત થયા બાદ પણ આ શિક્ષિકાએ સેવાયજ્ઞ ચાલુ રાખીને ગરીબ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવાનું યથાવત રાખ્યું છે. થોડા સમય પહેલા સુરતના નિવૃત્ત શિક્ષિકા સ્મિતા દેસાઈએ કેટલાક ગરીબ વિદ્યાર્થીઓને ફૂટપાથ પર વિનામૂલ્યે ભણાવવાનું શરૂ કર્યું. અને તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ તો બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ પણ મેળવ્યા છે. સાથે તેઓ પણ હવે અન્ય ગરીબ બાળકોને તે જ જગ્યાએ વિનામૂલ્યે ભણાવીને જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સુરતની જીવન ભારતી પ્રકૃતિ શાળામાંથી નિવૃત્ત થયા બાદ શિક્ષિકા સ્મિતા દેસાઈએ આર્થિક રીતે નબળા બાળકોને ભરથાણાની ફૂટપાથ પર વિનામૂલ્યે ભણાવવાનું શરૂ કર્યું હતું. ધીરે ધીરે ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં સુરત મહાનગરપાલિકાએ તેમને ભરથાણામાં મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-124માં ભણાવવાની મંજૂરી આપી. સ્મિતા બેનની સાથે ધીમે ધીમે બીજા ઘણા શિક્ષકોએ પણ આ ગરીબ બાળકોને સમયાંતરે મફત શિક્ષણ આપવાનું શરૂ કર્યું. છેલ્લા 12 વર્ષથી સ્મિતા ગરીબ બાળકોને ભણાવી રહ્યા છે.
બાળકોના કહેવાથી ગરીબ વિદ્યાર્થીઓના આ વર્ગને ‘સાઈ રથ’ નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થયું હતું તેમાંથી ‘સાઈ રથ’ ગ્રુપના 8 થી 10 વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે બોર્ડની પરીક્ષા પાસ કરવામાં સફળ થયા હતા. જેમાં 5 વિદ્યાર્થીઓ એવા છે જેમણે બોર્ડની પરીક્ષામાં A-1 ગ્રેડ મેળવ્યો છે.
આજે બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા આ જ વિદ્યાર્થીઓ આ ‘સાઈ રથ’ના અન્ય બાળકોને શીખવીને સ્મિતા દેસાઈ દ્વારા પ્રજ્વલિત જ્ઞાનની જ્યોત પ્રગટાવવામાં વ્યસ્ત છે. વિદ્યાર્થીએ જે વિષયમાં વધુ માર્ક્સ મેળવ્યા છે, તે તે વિષયનું જ્ઞાન અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે. હવે આ વિદ્યાર્થીઓ ‘સાઈ રથ’માં અભ્યાસ કરવા આવતા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા મદદ કરી રહ્યા છે.
Published On - 12:21 pm, Thu, 7 July 22