શહેરના(Surat ) અત્યંત મહત્વાકાંક્ષી મનાતા સુરત મેટ્રો(Metro ) રેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. મેટ્રોના પ્રથમ ફેઝમાં સરથાણાથી (Sarthana ) ડ્રીમસીટીના રૂટ પર સીવીલ વર્ક ચાલુ કરી દેવાયું છે. હાલ ખજોદ ડ્રીમસીટીથી નાનપુરા કાદરશાની નાળ સુધીના મેટ્રો રેલના રૂટમાં નડતરરૂપ એવા સીટી બસના 14 જેટલા બસ સ્ટોપને તોડી પાડવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. જોકે આ બસ સ્ટેશન અન્ય બીજી જગ્યાએ જીએમઆરસી દ્વારા જ બનાવી આપવામાં આવશે, એવો ઉલ્લેખ પણ દરખાસ્તમાં કરવામાં આવ્યો છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(જીએમઆરસી) દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. હાલ પ્રથમ ફેઝમાં ખજોદ, ડ્રીમસીટીથી સરથાણાના રૂટ પર અન્ડરગ્રાઉન્ડ તેમજ અન્ય વિસ્તારમાં એલીવેટેડ રૂટ પર મેટ્રો માટે કન્સટ્રક્શન વર્ક શરૂ કરી દેવાયું છે. હાલ પ્રથમ ફેઝમાં કાદરશાની નાળથી ડ્રીમસીટી સુધીના રૂટ પર મનપા દ્વારા બનાવાયેલા સીટીબસના 14 બસ સ્ટોપ નડતરરૂપ હોય, આ 14 બસ સ્ટોપ તોડી પાડવાની નોબત આવી છે. જે માટે શાસકો સમક્ષ મંજુરી માંગવામાં આવી છે. બસ સ્ટોપ તોડી પાડવાની કામગીરી જીએમઆરસી દ્વારા જ કરાશે અને તેના સ્થાને નવા સ્ટેશન પણ બનાવી અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મેટ્રો ફેઝ૧ માં ડ્રીમ સીટીથી સરથાણા રૂટમાં નડતરરૂપ સેન્ટ્રલ ઝોન વિસ્તારના ત્રણ સર્કલ દુર કરવાના કામ મંજુર કરાયા હતા. જેમાં મક્કાઇપુલ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા, નાનપુરા એકતા સર્કલ ખાતે આવેલી હોડી અને સગરામપુરા વિજય વલ્લભ ચોક પાસેના કળશના સ્કલ્પચરને હટાવવા મંજુરી અપાઈ હતી. સ્વામી વિવેકાનંદની પ્રતિમા સહિતના આ 3 સ્કલ્પચરને સ્થળાંતર કરી જીએમઆરસી દ્વારા અન્ય જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવશે.
આમ, હવે મેટ્રોની કામગીરી પુરઝડપે આગળ વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં બસ સ્ટોપને તોડી પાડવાની મંજૂરી મળ્યા બાદ તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે હાલ ચોમાસાની સીઝનમાં પણ મેટ્રોની કામગીરી કોઈપણ રીતે સ્થગિત કરવામાં નથી આવી. પણ વરસાદમાં પણ આ કામગીરી સતત ચાલી રહી છે.
Published On - 9:33 am, Wed, 10 August 22