ઈસ્લામના(Islam) સંસ્થાપક મોહમ્મદ પયંગમ્બર સાહેબ વિરૂદ્ધ ટિપ્પણી (Comment ) કરવાના મુદ્દે વિવાદમાં આવેલ નુપુર શર્મા(Nupur Sharma ) વિરૂદ્ધ દેશભરમાં ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે બુધવારે શહેરના રાંદેર વિસ્તારમાં નુપૂર શર્માની ધરપકડની માગ સાથેના પોસ્ટર બ્રિજ પર ચોંટાડવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જિલાની બ્રિજ પર ઠેર – ઠેર નુપૂર શર્માના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હોવાની જાણકારી મળતાં જ પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
હાલમાં જ દેશની એક ન્યૂઝ ચેનલમાં ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા દ્વારા મોહમ્મદ પયંગબર સાહેબ વિરૂદ્ધ અસભ્ય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને પગલે દેશ – વિદેશમાં આ મુદ્દે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સમગ્ર પ્રકરણમાં બફાટ કરનાર નુપૂર શર્માને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ ફરમાવી દેવામાં આવ્યો હતો. જો કે, હજી પણ નુપૂર શર્માનો વિવાદ શમવાનું નામ લેતું નથી. મહારાષ્ટ્રમાં નુપૂર શર્મા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ બાદ તેણીને જાનથી મારી નાખવાની પણ ધમકી મળી રહી છે.
જોકે, આ વિવાદ હવે સુરત સુધી પહોંચી ચુક્યો છે. સુરતના રાંદેરના જિલાની બ્રિજ પર નુપૂર શર્માની ધરપકડની માગ સાથેના પોસ્ટરો ચોંટાડવામાં આવતાં વાહન ચાલકોમાં પણ કુતુહલ જોવા મળ્યું હતું. આ સંદર્ભે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ દ્વારા પણ પોસ્ટર દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ પોસ્ટર કોના દ્વારા ચોંટાડવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના વાતાવરણમાં પલિતો ચાંપવાના પ્રયાસના ભાગરૂપે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી ખાતે જાહેર સભાનું આયોજન છે ત્યારે આ રીતે વાતાવરણ ડહોળાવાના પ્રયાસોને પગલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભે રાંદેર પીઆઈ એમપી પટેલ દ્વારા જણાવાયું હતું કે, હાલના તબક્કે જીલાની બ્રિજના બન્ને તરફ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારની હરકત કરનારને ઝડપી પાડીને તેના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની વાત પણ તેઓએ જણાવી હતી.