Surat : ભારે વરસાદની આગાહીને પગલે સુરત અને નવસારી જિલ્લામાં NDRFની ટીમ ખડકી દેવાઈ, તંત્ર આવ્યુ એક્શનમાં
સંભવિત પૂરની (Flood ) સ્થિતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આજે સવારે સુરત અને નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે
ગુજરાત(Gujarat ) રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની(Rain ) આગાહી વચ્ચે આજે વહીવટી તંત્ર દ્વારા સુરત (Surat )અને નવસારી ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. ઘોડાપૂર ની સ્થિતિમાં બચાવ અને રાહતની યુદ્ધસ્તર કામગીરીને ધ્યાને રાખીને હાલના તબક્કે આ ટીમમાં 25 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ કાંઠા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત અને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક પખવાડિયાથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે અને આ સ્થિતિ વચ્ચે આગામી પાંચ દિવસ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવને પગલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સંભવિત સ્થળાંતર અને ઘોડાપુરની સ્થિતિમાં રાહત અને બચાવની યુદ્ધસ્તરે કામગીરી માટે જવાનો ખડેપગે
આ સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના ભાગરૂપે જ આજે સવારે સુરત અને નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ બન્ને ટીમોમાં 25 જવાનો દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની સ્થિતિ દરમ્યાન નીચાણવાળા વિસ્તારો કે કાંઠા વિસ્તારોમાં સ્થળાંતર કે બચાવ અને રાહત જેવી કામગીરીની સંભાવના દરમ્યાન યુદ્ધસ્તરે કામગીરી કરવામાં આવશે.
જોકે, હજી સુધી સુરત અને નવસારીમાં નદીઓના જળસ્તર ભયજનક સપાટીથી ખુબ જ નીચે હોવાને કારણે હાલના તબક્કે ઘોડાપુર કે સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તેવી શક્યતાઓ ખુબ જ ઓછી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આગોતરા આયોજન અને સલામતીના ભાગરૂપે આ ટીમોને નવસારી અને સુરત ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. જેથી સંભવિત પૂર કે લોકોને અન્યત્ર ખસેડવાની જો સ્થિતિ ઉભી થાય તો ત્વરિતતા થી તે કામગીરી કરી શકાય.
હાલ શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે શહેર જિલ્લામાં હળવો થી સામાન્ય વરસાદ વરસ્યો છે. છતાં તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.