સુરતમાં (Surat) આજે મંત્રી વીનુ મોરડીયા દ્વારા સ્થાનિકો સાથે મળીને મહા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંત્રી વીનુ ભાઈ મોરડીયા દ્વારા આ ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં 40 હજારથી વધુ લોકો એ હાથમાં ત્રિરંગા રાખી પદયાત્રા કરી હતી. આ યાત્રા સુરતના કતારગામ અનાથ આશ્રમથી નીકળી વેડ રોડ નજીક આવેલ પાટીદાર સમાજ વાડી આર્મી ટેન્ક સુધી પહોંચી હતી.
સુરતમાં મંત્રી વીનુ મોરડીયાએ આ યાત્રાને પ્રારંભ કરાવતા હીરા ઉદ્યોગકારો પણ જોડાયા હતા. પીએમ નરેન્દ્ર મોદીનો સૂટ ખરીદનાર અને હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ પણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે સાથે અન્ય હીરા ઉદ્યોગકાર અને રત્નકલાકારો પણ આ યાત્રામાં જોડાઈ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સુરતના ઈતિહાસમાં આ યાત્રા ઐતિહાસિક માનવામાં આવી રહી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે કે 5 કિલોમીટર લાંબી આ યાત્રા અત્યાર સુધીની સૌથી મોટી ત્રિરંગા યાત્રા માનવામાં આવી રહી છે.
મંત્રી વીનુ મોરડીયા આ યાત્રામાં રથ પર સવાર થવાને બદલે જનતા સાથે પદયાત્રામાં જોડાયા હતા. કતારગામના કદાવર નેતા ગણાતા વીનુ મોરડીયાની સાથેસાથે મોટી સંખ્યામાં લોકો જોડાતા ગયા હતા. યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ લોકોને આવકાર્યા હતા.
વડાપ્રધાન મોદીની મુહિમ ‘હર ઘર ત્રિરંગા’ને લઈ સુરતથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુરતથી મહા ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ,ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અને ધારાસભ્યો અને પદાધિકારીઓ જોડાયા હતા. તે બાદ શહેરમાં ઠેક ઠેકાણે અનેક વિસ્તારોમાં નાની મોટી ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે ત્રિરંગા યાત્રાની જ્યોત આજે કતારગામ વિધાનસભામાં પ્રજવલિત થતી જોવા મળી હતી. કતારગામમાં ગલીએ ગલીએ શેરીએ શેરીએ યાત્રા ફરતા એપાર્ટમેન્ટ અને ઘરોમાંથી લોકો એ અભિવાદન કર્યું હતું. અંતે મંત્રી વીનુ મોરડીયાએ તમામનો આભાર માની યાત્રાની પૂર્ણાહુતિ પાટીદાર ભવન ખાતે કરી હતી.