
સુરતમાં રાંદેર પોલીસે માનવતા મહેકાવી છે. રાંદેર વિસ્તારમાં સાયકલ પર આઈસ્ક્રીમની ફેરી કરતા એક શ્રમજીવીની જીવાદોરી સમાન સાયકલ તૂટી ગયી હતી અને શ્રમજીવીએ પોલીસ મથકે જઈને આપવીતી જણાવી હતી, જે બાદ રાંદેર પોલીસની ટીમે શ્રમજીવીને નવી સાયકલ અપાવી માનવતા ઉજાગર કરી છે.
નવી સાયકલ મળતા શ્રમજીવીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને પોલીસ મથકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન જાય છે. ત્યારે પોલીસ તેની ફરિયાદ સાંભળી ને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે, પણ સુરતના રાંદેર પોલીસમાં એક એવી ફરિયાદ સામે આવી તે સાંભળીને પોલીસે ફરિયાદી એવો ન્યાય અપાવ્યો કે પોલીસ મથકમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
વાત કંઇક એમ છે કે સુરતના રાંદેર પોલીસ મથકમાં ‘શી’ ટીમના ઇન્ચાર્જ વુમેન પીએસઆઈ એચ.બી જાડેજા રાંદેર પોલીસ મથક ખાતે ફરજ પર હાજર હતા. આ દરમિયાન એક સિનિયર સીટીઝન જેવા દેખાતા એક ભાઈ પોલીસ મથકે આવ્યા હતા અને તેઓએ પોતાનું નામ પુષ્પરાજસિહ જ્ગેશ્વરસિહ ચૌહાણ [ઉ.48] અને તેઓ રાંદેર ઝઘડિયા ચોકડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. તેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચવાનું કામ કરતા હતા અને શ્રમના કારણે હાલની ઉમર કરતા સિનિયર સીટીઝન જેવા પ્રથમ દ્રષ્ટિએ લાગ્યા હતા.
તેઓએ પોલીસ મથકે આવીને જણાવ્યું હતું કે, પરિવારમાં તેઓ કમાનાર એક જ વ્યક્તિ છે. પરિવારમાં ૫ બાળકો છે જેઓ અભ્યાસ કરે છે અને હું પોતે સાયકલ પર આઈસ્ક્રીમની ફેરી મારીને પરિવારનું ગુજરાન ચલાવું છું, સવારના સમયે હું ઘરેથી બોક્ષમાં આઈસ્ક્રીમ ભરીને નવા બંધાતા બિલ્ડીંગોમાં મજુરવર્ગ કામ કરતા હોય ત્યાં જઈ આઈસ્ક્રીમનું વેચાણ કરું છું, આજે હું સાયકલ પર આઈસ્ક્રીમનું બોક્ષ મુકીને ઊગત કેનાલ રોડ પાસે રામ રેસીડેન્સી નજીક નવા બંધાતા બિલ્ડીંગ પાસે જતો હતો ત્યારે એક ફોરવ્હીલ ગાડીના ચાલકે સામેથી આવીને સાયકલને ટક્કર મારતા સાયકલ રસ્તામાં પડી ગયી હતી અને ભૂલથી ફોરવ્હીલનું ટાયર સાયકલની ફ્રેમ પર આવી જતા સાયકલ તૂટી ગયી છે અને ફોરવ્હીલ ચાલક ત્યાંથી જતો રહ્યો છે, વધુમા ફોરવ્હીલ ચાલક તેની કાર ધીમે ધીમે ચલાવતો હતો પરંતુ સામાન્ય ટક્કરમાં મારી સાયકલ તુટી ગયી છે.
સાયકલ રીપેરીંગ થાય તેવી સ્થિતિમાં પણ રહી નથી મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી પણ સાયકલથી મારા સમગ્ર પરિવારનું ગુજરાન ચાલે છે. મારા મિત્રએ સલાહ આપી હતી કે પોલીસમાં જવાથી કંઈક ઉકેલ મળશે. ત્યારે શ્રમજીવીની વાત સાંભળીને રાંદેર પોલીસે શ્રમજીવીની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને શ્રમજીવીને નવી સાયકલ અપાવી હતી, નવી સાયકલ મળતા જ શ્રમજીવીની આંખમાં હર્ષના આંસુ નીકળી ગયા હતા અને પોલીસ મથકે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિમંતમાં નાની હોય પરંતુ આ શ્રમિક માટે ખુબ જ કીમતી વસ્તુ હતું જીવાદોરી સમાન સાયકલ મળી જતા તેઓએ પોલીસની કામગીરીને બિરદાવી હતી
વુમેન પીએસઆઈ એચ,બી જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ પોલીસ મથકે આવ્યા ત્યારે દુઃખી જણાયા હતા, અને વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે અને કોઈ ફોરવ્હીલ ચાલકે તેઓને ટક્કર મારી દીધી હતી. જેથી તેઓની સાયકલ તૂટી ગયી હતી અને ફોરવ્હીલ ચાલક ત્યાંથી ભાગી ગયો હતો અમે ત્યાં જઈને કેમેરા ચેક કરવાની કોશિશ કરી હતી, પરંતુ જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં કેમેરા ના હતા પરંતુ ફરિયાદીને કોઈ ફરિયાદ કરવી ના હતી. જેથી આ અંગે પીઆઈ સોનારા સાહેબને તેઓને મળાવ્યા હતા અને બાદમાં સી ટીમ તરફથી તેઓને સાયકલ આપવાનું નક્કી કર્યું હતું જેથી તેઓની રોજગારી યથાવત રહે જેથી અમે સાયકલ એમને ગીફ્ટમાં આપી છે.