શહેરના (Surat ) પુણા વિસ્તારમાં કેનાલ રોડ પર આજે મળસ્કે કેમિકલ (Chemical ) ફેકટરીના ગોડાઉનમાં આગ (Fire ) ફાટી નીકળતાં ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. વહેલી પરોઢિયે કેમિકલ ફેકટરીના ગોડાઉનમાં આગ ફાટી નીકળવાને પગલે જ્વલનશીલ કેમિકલના બેરલો ધડાકાભેર ફાટતાં સમગ્ર વિસ્તારમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. દુર્ઘટનાને પગલે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ફાયર વિભાગના લાશ્કરો દ્વારા આગ પર કાબુ મેળવવાના ભારે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જો કે, આ દરમ્યાન કેમિકલ ગોડાઉનમાં મુકવામાં આવેલા જ્વલંતશીલ કેમિકલના બેરલોમાં એક પછી એક વિસ્ફોટ થતાં પાસે જ આવેલ એક અન્ય ખાદ્યપદાર્થના ગોડાઉનમાં પણ આગ પ્રસરી જવા પામી હતી. ભીષણ અગ્નિકાંડને પગલે ફાયર વિભાગના સાત – સાત સ્ટેશનોની ગાડીઓ સ્ટાફ સાથે આગ પર કાબુ મેળવવા માટે વહેલી સવાર સુધી જહેમત ઉઠાવી રહેલા નજરે પડ્યા હતા. જોકે, સવારે 10 વાગ્યે બાદ આગ પર કાબુ મેળવવામાં આવતાં ફાયર વિભાગના અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ દરમ્યાન બપોર સુધી કેમિકલ ગોડાઉન અને પાસે આવેલ એફએમસીજીના ગોડાઉનમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
થિનર બનાવવાના કેમિકલ ગોડાઉનમાં સંખ્યાબંધ બેરલોમાં સંગ્રહ કરવામાં આવેલ કેમિકલે બળતામાં ઘીનું કામ કર્યું હતું. આગને કારણે એક પછી એક 25થી 30 જેટલા બેરલો બ્લાસ્ટ થતાં ગોડાઉનની ફરતે લગાવવામાં આવેલા પતરાના શેડનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અત્યંત તીવ્ર અવાજ સાથે બેરલોમાં વિસ્ફોટ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં ધડાકા ગુંજી ઉઠ્યા હતા. આ સ્થિતિને પગલે માન દરવાજા, પુણા, કતારગામ, ડુંભાલ, ડિંડોલી અને નવસારી બજાર સહિત કાપોદ્રા ફાયર વિભાગની 13 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. એક પછી એક ગાડીઓ દ્વારા સેંકડો લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
કેમિકલ ગોડાઉનમાં લાગેલી આગને કારણે એક તરફ તો ભીષણ આગ ફાટી નીકળી હતી તો બીજી તરફ કેમિકલને કારણે ગોડાઉનમાં તાપમાનનો પારો ખુબ જ ઉંચે પહોંચી જતાં ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા છતાં કુલિંગની કામગીરી માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક તબક્કે કુલિંગની કામગીરીમાં કેમિકલ અને એફએમસીજી ગોડાઉનની ફરતે પાકી દિવાલો અવરોધક સાબિત થતાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક જેસીબી મશીનની મદદથી દિવાલોને તોડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. દિવાલો ધરાશાયી થયા બાદ જ ફાયર વિભાગ દ્વારા બન્ને ગોડાઉનમાં કુલિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પી.કે. કેમિકલ ફેકટરીના ગોડાઉનમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રે તો રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આ હોનારતમાં કેમિકલ ગોડાઉનની આસપાસ 40થી વધુ નિર્દોષ કબૂતરોના ગુંગળામણને કારણે મોત નિપજ્યા હતા. જેને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ દરમ્યાન સમગ્ર ઘટના અંગે એનિમલ ક્રાઈમ ક્રંટોલ નામની સંસ્થાને જાણ થતાં તેઓના સ્વયં સેવકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અગ્નિકાંડને કારણે આસપાસના ઝાડ પર આવેલા પક્ષીઓના માળામાંથી પણ 150 જેટલા કબુતરોનું રેસક્યુ કરવામાં આવી હતી. બીજી તરફ ગોડાઉનમાંથી બે બિલાડીના બચ્ચાઓ મળી આવતાં તેમને પણ હેમખેમ બચાવી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પરવત પાટીયાથી બીઆરટીએસ કેનાલ રોડ પર વનમાળી જંકશન પાસે વહેલી સવારે કેમિકલ ગોડાઉનમાં આગ ફાટી નીકળવાની ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. જેને પગલે એક તબક્કે ફાયર વિભાગને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સ્થાનિક પોલીસના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કેનાલ રોડનો એક તરફનો રસ્તો વાહન ચાલકો માટે બંધ કરવાની ફરજ પડી હતી અને વહેલી સવારથી પીક અવર્સ દરમ્યાન લોકોના ટોળા વચ્ચે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.