રાજ્ય સરકારના પરિપત્રના આધારે આગામી તારીખ 19 જુલાઈથી ઓફલાઈન એક્ઝામ લેવાનાર છે. જેને લઈ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ડેલ્ટા વાયરસના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યા છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે ઓફલાઇન એક્ઝામથી વધારે સંક્રમણ ફેલાવવાનો ડર તોળાઈ રહ્યો છે. ત્યારે ઓનલાઈન એક્ઝામ જ લેવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓ દ્વારા હાલ કરવામાં આવી રહી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (veer Narmad south Gujarat university) દ્વારા પણ ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 19 જુલાઈથી બીએ, બીકોમ, બીએસસી, બીબીએ સેમેસ્ટર-6ની પરીક્ષા રેગ્યુલર લેવાશે. જ્યારે એક્સટર્નલ અભ્યાસક્રમની પરીક્ષાઓ 29 જુલાઇથી લેવાશે. બીબીએ સેમેસ્ટર-6ની પરીક્ષા પહેલા વાઇવા પૂરા કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા આદેશ કર્યો છે. સાથે જ સરકાર દ્વારા પરીક્ષાના આયોજન પૂર્વે તમામ યુનિવર્સિટી તેમજ કોલેજોને વેક્સીનેશન કેમ્પ યોજવા અને વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સીન આપવા પણ ટકોર કરી હતી. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University ) દ્વારા પણ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 8 અને 22 જુલાઇથી બે તબક્કામાં UG,PG અને એક્ટર્નલ થઈને કુલ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
Published On - 12:28 pm, Sat, 3 July 21