સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબના આપઘાત કેસમાં આખરે જવાબદાર ચારેય ડૉક્ટર સામે નોંધાઈ ફરિયાદ- VIDEO

સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબના આપઘાત કેસમાં આખરે ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે. રેગીંગ કરનારા ચારેય સિનિયર ડૉક્ટર સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબના આપઘાત કેસમાં આખરે જવાબદાર ચારેય ડૉક્ટર સામે નોંધાઈ ફરિયાદ- VIDEO
| Updated on: Aug 11, 2026 | 8:28 PM

સુરતના ચકચારી એવા રેસિડેન્ટ તબીબના આપઘાત કેસમાં આખરે ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે. રેસિડેન્ટ તબીબ હર્ષ પંડ્યાના આપઘાત બાદ ખુલાસો થયો કે સિનિયર તબીબો દ્વારા તેમનુ ત્રાસદાયી રીતે રેગીંગ કરવામાં આવતુ હતુ અને તેના ત્રાસથી કંટાળી જઈ તબીબે આપઘાત કરવા જેવુ આત્મઘાતી પગલુ ભર્યુ હતુ. ત્યારે એકના એક પુત્રને ગુમાવનારા માતાપિતા અને પરિવારજનો દ્વારા પણ તેનુ રેગીંગ કરનારા તબીબો સામે ફરિયાદ દાખલ કરવાની માગ કરવામાં આવી રહી હતી. ત્યારે ત્રણ દિવસ બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચારેય સામે રેગીંગની ફરિયાદ નોંધાઈ છે. સિવિલ મેડિકલ વિભાગના અધિકારી દ્વારા ડૉ હર્ષ પંડ્યાને ગોંધી રાખી, ડરાવી ટોર્ચર કરવા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડૉ. દીક્ષિતા ઘેવરીયા, ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી અને ડૉ. હિના ભુત સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જો કે આત્મહત્યાની ઘટના સામે આવ્યા બાદ ચારેય તબીબને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ મૃતક ડૉક્ટર ના પરિવારજનો દ્વારા ચારેય ડૉક્ટર સામે ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી રહી હતી. જે બાદ જુનિયર વિદ્યાર્થીઓ ફરિયાદ નોંધવા બાબતે દેખાવો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા પણ હોસ્પિટલ ડીનને બે દિવસનુ અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. બે દિવસની અંદર ફરિયાદ નહીં નોંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી.

જો કે હાલ આત્મહત્યા પાછળ જવાબદાર ચારેય તબીબ સામે રેગીંગ ના નામે ટોર્ચર કરવા બાબતે પહેલી ફરિયાદ નોંધાઈ છે અને એડી ઉપરથી બીજી ફરિયાદ નોંધાઈ તેવી પણ શક્યતા છે. ખટોદરા પોલીસે ચારેય રેસિડેન્ટ ડૉક્ટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ડીને FIR કરવા રિપોર્ટ કર્યો હોવા છતા ફરિયાદ નોંધવામાં વિલંબ કેમ?

જે બાદ ઘટનાના બે દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ ન નોંધાતા સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે સવાલ ઉઠી રહ્યા હતા. TV9 સંવાદદાતા સમગ્ર મામલે સિવિલ મેડિકલ કોલેજના ડીન સાથે ખાસ વાતચીત કરી હતી. જેમા ફરિયાદ ન નોંધવા બાબતેના સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતુ કે FIR કરવા પોલીસમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર સિવિલ તંત્રએ ફરિયાદી બની રિપોર્ટ સબમિટ કર્યો છે. તપાસ કમિટીમાં જે મુદ્દા સામે આવ્યા તેના આધારે FIR દાખલ કરવા રિપોર્ટ કરાયો છે. FIR દાખલ કરવા માટે સિવિલના અધિકારી ફરિયાદી બનશે. આ બાબતે ફેકલ્ટીના ચાર પ્રોફેસરોને પણ કારણદર્શક નોટિસ અપાઈ છે. રિપોર્ટ સબમિટ થયા બાદ પણ ખટોદરા પોલીસે દ્વારા FIR દાખલ કરવામાં કેમ સાંજ સુધીનો વિલંબ કરાયો તે સવાલ પણ ઉઠી રહ્યા છે. ત્યારે પોલીસ પણ શું જવાબદાર તબીબોને બચાવી રહી હતી કે કેમ તે પણ સવાલો ઉઠી રહ્યા છે.

શું હતો સમગ્ર ઘટનાક્રમ?

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડન્ટ ડૉક્ટરે સિનિયર ડૉક્ટરોના ટોર્ચરથી કંટાળી જઈ આપઘાત કરી લીધો હતો. સમગ્ર કેસમાં સિનિયર ડૉ. દીક્ષિતા ઘેવરિયા મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો
સિનિયર તબીબો અમાનવીય વર્તન કરતા હોવાનો અને “અમે તમારા બોસ, તમે અમારા નોકર” કહી પરેશાન કરતા હોવાનો આરોપ છે.

જુનિયરો પર સતત મૌખિક અને માનસિક અત્યાચાર ગુજારાતો

10 જુનિયર તબીબોને માનસિક ત્રાસ અપાતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આપઘાતના બે દિવસ પહેલા જ HoDને આ બાબતે રજૂઆત કરાઈ હતી. છતાં કોઈ જ કડક પગલાં ન લેવાયાનો પણ ઘટસ્ફોટ થયો છે. આપઘાત કરનાર ડૉ. હર્ષ પંડ્યા ₹40 લાખના કડક બોન્ડમાં હતા. અસહ્ય માનસિક ત્રાસ હોવા છતાં બોન્ડને લીધે ડિપાર્ટમેન્ટ છોડી શકતા ન હતા. ઘટનાના 24 કલાક બાદ પણ હોસ્ટેલ અને વિભાગના CCTV સર્વર બંધ હાલતમાં જ હતા. સિવિલની એન્ટિ-રેગિંગ કમિટી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યા છે. સુરત નવી સિવિલ કેમ્પસમાં છેલ્લા 7 વર્ષમાં 4 રેસિડેન્ટ ડૉક્ટર આપઘાત કરી ચુક્યા છે.

Input Credit- Baldev Suthar- Surat

Surat: રેસિડેન્ટ ડૉક્ટરના આપઘાત બાદ નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યા દેખાવો, જવાબદારો સામે ફરિયાદ ન નોંધાતા આક્રોશ

 

Published On - 8:27 pm, Tue, 11 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.