સુરત (Surat) શહેરમાં રોજબરોજ ગુના વધી રહ્યા હોવાથી જાણે ક્રાઇમ સિટી (Crime) બનતુ જઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી ઠગબાજોની ટોળકી સક્રિય બની છે. જો કે ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ઇકો સેલની ટીમ દ્વારા ત્રણ દિવસ પહેલા જ મુંબઈના ઠગબાજ બંટી-બબલીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ટોળકી શહેરના અલગ અલગ વેપારીઓ પાસેથી ટુકડે ટુકડે માલ લઇ વિશ્વાસ સંપાદન કરી મોટો જથ્થો ખરીદીને નાણા નહી ચૂકવીને રફુચક્કર થઈ જતી હતી.
સુરત ક્રાઇમ બ્રાંચે થોડા દિવસ પહેલા જ લોકોને ઠગતી બંટી-બબલીની જોડીને ઝડપી પાડી હતી. જો કે સુરત શહેરમાં સંખ્યાબંધ વેપારીઓને ચૂનો ચોપડનાર આ ઠગબાજ બંટી-બબલી સામે સલાબતપુરા પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ થયો છે. આ બંટી-બબલી સામે સલાબતપુરા પોલીસ મથકમાં વધુ એક 37 લાખની ઠગાઇની ફરિયાદ દાખલ થઇ છે. મુંબઈની નીલ એક્સપોર્ટ નામે લોકોને ઠગાતા બંટી-બબલી એન્ડ ટોળકીએ રિંગરોડ સ્થિત સુરત ટેક્સટાઈલ માર્કેટમાં શિવમ એક્સપોર્ટના સંચાલક સાથે ઠગાઈ કરી છે.
સુરતના ભટાર રોડ જીવકોર નગર આશીર્વાદ પેલેસમાં રહેતા 54 વર્ષીય અશ્વિનીકુમાર પુરષોત્તમદાસ અગ્રવાલ રિંગરોડ સ્થિત આદર્શ માર્કેટમાં અપર ગ્રાઉન્ડમાં શિવમ એક્સપોર્ટના નામે વેપાર ધંધો કરે છે. અશ્વિનીકુમાર પાસેથી ગત તારીખ 20 માર્ચ 2015થી 21 સપ્ટેમ્બર 2015 સુધીમાં મુંબઈ, અંધેરીમાં રહેતા નિલોફર જરીવાલાએ કુલ રૂપિયા 49,24,859 લાખનો ડ્રેસ મટીરીયલ્સનો માલ ખરીદ્યો હતો. જેમાંથી રૂપિયા 12,21,503 લાખનું પેમેન્ટ કરી બાકીના રૂપિયા 37,03,056 લાખ અવાર નવાર ઉધરાણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. પોલીસે અશ્વિનીકુમારની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આરોપી નિલોફર જરીવાલા ઉફે નિલોફર કમલ અખ્તર શેખ, તેનો પતિ કમલ શેખ સહિતની ટોળકીએ નીલ એક્સપોર્ટ ઉપરાંત આઈબા એન્ડ ફર્મના નામે પણ અનેક વેપારીઓ પાસેથી માલ ખરીદી ઠગાઈ કરી છે. પોલીસે હાલ તો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 5:45 pm, Mon, 13 June 22