ગુજરાત(Gujarat ) સરકાર દ્વારા સુરત (Surat )મહાનગર પાલિકાને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પાંચ સુમન શાળાઓ (School )શરૂ કરવા સંદર્ભે લીલી ઝંડી મળ્યા બાદ હવે મહાનગર પાલિકા દ્વારા આ શાળાઓમાં શિક્ષકો સહિતના સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા શાસકો સમક્ષ મંજુરી અર્થે દરખાસ્ત રજુ કરવામાં આવતાં આગામી સમયમાં શહેરના અલગ -અલગ વિસ્તારોમાં શરૂ થનાર સુમન માધ્યમિક શાળાઓમાં શિક્ષકો સહિત 88 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં માત્ર સુરત મહાનગર પાલિકા દ્વારા જ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને નિઃશુલ્ક માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે સુમન શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે સુમન માધ્યમિક શાળાઓમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને મનપા દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોર્ડ સમક્ષ શહેરમાં બે ગુજરાતી માધ્યમ અને ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા અંગે મંજુરી માંગવામાં આવી હતી. જે સંદર્ભે પ્રોવિઝનલ મંજુરી મળ્યા બાદ હવે આ શાળાઓમાં ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને આચાર્ય – શિક્ષકો સહિત બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સુમન હાઈસ્કુલ શાળા નં. 19થી 24માં એક – એક આચાર્ય મળી એમ કુલ પાંચ આચાર્ય, ગુજરાતી માધ્યમના 36 આસિસ્ટન્ટ શિક્ષક અને અંગ્રેજી માધ્યમના 27 આસિસ્ટન્ટ શિક્ષક તેમજ 10 બીજી અને ત્રીજી શ્રેણીના ક્લાર્ક સહિત 10 પટાવાળાઓ મળી કુલ્લે 88 જગ્યાઓ પર ભરતી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. જેને બહાલી મળ્યા બાદ આગામી સમયમાં આ તમામ શાળાઓમાં 68 શિક્ષકો સહિત 20 બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે સુરતમાં હવે સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર એટલી હદે સુધર્યું છે કે લોકો પોતાના સંતાનોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. ચાલુ વર્ષે પણ લગભગ 8 હજાર જેટલા બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. શૈક્ષણિક વર્ષ 2022-2023 માં ધોરણ-1 થી 8માં કુલ 1,71,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.