સુરતમાં(Surat ) બે તબક્કામાં નિર્માણાધિન મેટ્રો ટ્રેન (Metro ) પ્રોજેક્ટની કામગીરી માટે 12,500થી વધુ નાના-મોટા વૃક્ષો (Trees ) કાપવાની ફરજ પડી છે. કેટલાંક વૃક્ષો અત્યાર સુધી કાપી નાખવામાં આવ્યા છે અને જેમ-જેમ કામગીરી આગળ વધતી જશે તેમ-તેમ રૂટમાં નડતરરૂપ વૃક્ષો કાપવામાં આવશે. વિકાસની દોડની સાથે પર્યાવરણની જાળવણી માટે અનિવાર્ય નાનામોટા વૃક્ષો કાપ્યા બાદ આ વૃક્ષો અન્યત્ર વાવવા માટે મનપા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના રૂટમાં નડતરરૂપ વૃક્ષોના બદલામાં ગવિયર એસટીપી બમરોલી એસટીપી અથવા અધર યોગ્ય ખુલ્લા પ્લોટો પર ડી-ફોરેસ્ટ્રેશન (વનીકરણ) કરવા માટે 68 લાખ રૂપિયાનું ફંડ મનપાને ફાળવાયું છે.
મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં નડતરરૂપ વૃક્ષો કાપ્યા બાદ તેના બદલામાં ઘનિષ્ઠ વનીકરણ માટે હાલ ગવિયર અને બમરોલી એસટીપી ખાતે મનપાએ નજર દોડાવી છે. આ ઉપરાંત, ભેંસાણ એસટીપી ખાતે પણ ડી-ફોરેસ્ટ્રેશનની કામગીરી માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને એસટીપી ખાતે કમ્પાઉન્ડ વોલ સહિતના ખુલ્લા પ્લોટમાં વનીકરણ કરવા માટે ઇજારદારને કામગીરી સોંપવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઇ છે. ભવિષ્યમાં પણ ગવિયર અને બમરોલી એસટીપી ખાતે પણ વનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
મેટ્રો રેલ પ્રોજેક્ટમાં નડતરરૂપ હોવાથી કાપવામાં આવેલા અને ભવિષ્યમાં કપાનાર વૃક્ષોના બદલામાં પર્યાવરણની જાળવણી માટે વનીકરણની કામગીરી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અપાનાર ફંડમાંથી હાથ ધરવામાં આવશે. આમ, વિકાસની સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું આયોજન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગાર્ડન વિભાગ દ્વારા આ દરખાસ્ત મુકવામાં આવી છે. જેના પર કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. જેમાં આ વૃક્ષોના બદલામાં બમરોલી અને ગવિયર ખાતે મોટા પાયે વનીકરણ અભિયાન હાથ ધરવામાં આવનાર છે.