
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે હકીકત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનું અંદાજે 80 ટકા બાંધકામ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. જો બધું આયોજન મુજબ ચાલશે તો વર્ષ 2027માં બુલેટ ટ્રેનનો પ્રથમ ઓપરેશનલ સેક્શન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે.
ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમીની OSAT સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે અશ્વિની વૈષ્ણવે પ્રોજેક્ટ અંગે મહત્વની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં પ્રથમ હાઇ-સ્પીડ રેલ નેટવર્કને તબક્કાવાર શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે અને બાંધકામનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે.
રેલ્વે મંત્રીના જણાવ્યા અનુસાર સૌથી પહેલા સુરતથી બીલીમોરા વચ્ચેનો બુલેટ ટ્રેન રૂટ વર્ષ 2027માં શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય સેક્શનો શરૂ કરવામાં આવશે.
આ રીતે સમગ્ર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને તબક્કાવાર કાર્યરત કરવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ જાપાનની અત્યાધુનિક શિંકનસેન (Shinkansen) ટેકનોલોજી પર આધારિત છે, જે વિશ્વની સૌથી સુરક્ષિત અને વિશ્વસનીય હાઇ-સ્પીડ ટ્રેન સિસ્ટમોમાંથી એક માનવામાં આવે છે.
આ સમગ્ર કોરિડોરની લંબાઈ આશરે 508 કિલોમીટર છે અને તેમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈથી અમદાવાદ વચ્ચેનો મુસાફરી સમય માત્ર 1 કલાક 58 મિનિટ જેટલો રહેશે.
આ ટ્રેનોની મહત્તમ ઓપરેશનલ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જ્યારે તેની ડિઝાઇન સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાથે ભારતમાં પ્રથમ વખત J-Slab Ballastless Track ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે હાઇ-સ્પીડ ટ્રેનો માટે વધુ સુરક્ષિત અને લાંબા ગાળે ટકાઉ માનવામાં આવે છે.
બુલેટ ટ્રેન કોરિડોર માટે અત્યાધુનિક ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર 20,000થી વધુ ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન માસ્ટ સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત 2×25 kV ટ્રેક્શન સિસ્ટમ, 12 ટ્રેક્શન સબસ્ટેશન, 2 ડેપો ટ્રેક્શન સબસ્ટેશન અને 16 ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશનનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારત હાઇ-સ્પીડ રેલ સેવા ધરાવતા દેશોની યાદીમાં સામેલ થશે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીનો સમય ઘટાડશે એટલું જ નહીં, પરંતુ આધુનિક ટેકનોલોજી, રોજગાર અને દેશના પરિવહન માળખાને નવી દિશા પણ આપશે. વર્ષ 2027માં પ્રથમ સેક્શન શરૂ થતાં ભારતના રેલવે ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે.
તાપી જિલ્લામાં ચોમાસાના વરસાદથી ‘ચીમેર ધોધ’ સોળે કળાએ ખીલ્યો, જુઓ
Published On - 5:41 pm, Sat, 4 July 26