સુરતના (Surat ) ઇતિહાસનો બ્લેક ફ્રાઈડે તેમજ શહેર માટે કાળા તિલક સમાન ગણાતા તક્ષશિલા (Takshshila ) આગ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે. ત્યારે આ દુર્ઘટના માટે જવાબદાર ગણાતા 14 લોકો સામે ન્યાયિક કાર્યવાહી પણ શરૂ થઇ છે. આ મામલે પોતાના વ્હાલસોયા ગુમાનવનારા 22 મૃતક વિદ્યાર્થીઓના માતા પિતા સતત છેલ્લા 3 વર્ષથી ન્યાયિક લડાઇ આપી રહ્યાં છે. આ લડાઇ કોઇ પણ મોટા માથા વગર વાલીઓએ પોતાની મૂડી ખર્ચીને લડત ચલાવવી પડી રહી છે. જેનું પરિણામ પણ એ આવ્યું છે કે આ ઘટનામાં જવાબદાર લોકોને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. તક્ષશિલા આગની આ ઘટનામાં કુલ 14 આરોપી સામે સપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો હતો.
હૃદય કંપાવી નાખે એવી આ ઘટનામાં જે લોકોએ પોતાના લાડકવાયા સંતાનો ગુમાવવા પડ્યા છે તેવા 22 વાલીઓનો તો સરકારી મશીનરી પરથી જાણે વિશ્વાસ ઉઠી ગયો છે. વાલીઓ વતી લડત ચલાવતા જયસુખ ગજેરાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં પણ પોલીસ અને પાલિકા આ મામલે જે તે લોકોને બચાવી રહી હતી. તે બચી શક્યા નથી. હવે અમને કોર્ટ પર વિશ્વાસ છે. અમને ચોક્કસ ખાતરી છે કે છેલ્લે કુદરત જ અમને જીત અપાવશે. હાલમાં આ મામલે હવે તેઓ કોર્ટ ઉપર ભરોસો રાખીને બેઠા છે.
તા.24-05-2019ને શુક્રવાર, સમય બપોરે 4.00 વાગ્યાના અરસામાં સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા કોમ્પલેક્ષના બીજા માળની ફેશન ડિઝાઇનના ક્લાસરૂમની ગેલેરીના બહાર એસીના આઉટર યુનિટ અને તેની સાથેના વાયરિંગમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગતા નીચેના માળથી આગ લાગતા ત્રીજા માળ સુધી પહોંચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકોનાં મોત થયા હતા જ્યારે 18 થી વધુને ઇજા પહોંચી હતી.
આ કેસના મુખ્ય આરોપી એવા ભાર્ગવ બુટાણી હજુ પણ જેલમાં બંધ છે. તાજેતરમાં સામાજિક કારણોસર ભાર્ગવના જામીન મંજુર થયા છે. આ કેસના અન્ય આરોપીઓ પણ છે જેમાં ફાયરના બે અધિકારી, કોર્પોરેશનના અધિકારીઓમાં પી.ડી.મુન્સી, હિમાંશુ ગજ્જર, અતુલ બોરસાવાળા તેમજ બિલ્ડર સહીત અને 14 આરોપીઓ છે જેમને કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. વાલીઓ તરફથી ખાનગી વકીલ પિયુષ માંગુકિયા લડી રહ્યા છે. આગામી દિવસોમાં વાલીઓ સિનિયર વકીલને પણ રોકવાના છે. હાલ સરકાર તરફથી ભરૂચના સરકારી વકીલ પ્રફુલ્લ પરમાર લડત આપી રહ્યા છે.
આ ઘટના બન્યાને ત્રણ વર્ષ વીતવા છતાં વાલીઓ કે જેઓએ પોતાના વ્હાલસોયાઓને ગુમાવ્યા છે, તેઓ હજી આ ગોઝારા દિવસને ભૂલી શક્યા નથી. એ દિવસથી લઈને આજદિન સુધી દર મહિનાની 24 તારીખે તેઓ તક્ષશિલા બિલ્ડીંગ કે જ્યાં આગની આ દુર્ઘટના બની હતી તે સ્થળે આવીને 22 મૃત બાળકોના ફોટાને ફુલહાર ચડાવીને તેમને સ્મરણાંજલિ આપે છે.