કોરોનાના કારણે એક તરફ સુરત એરપોર્ટ (Airport) પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, ત્યારે બીજી તરફ એમ્બ્યુલન્સના ઓપરેટ થવાની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં વધારો પણ નોંધાયો છે. કોરોનાના કારણે એપ્રિલ અને મે મહિનામાં જ સુરત એરપોર્ટથી સાત એર એમ્બ્યુલન્સ (Air Ambulance) ઓપરેટ થઈ હતી. કોરોના પહેલા વર્ષે માત્ર એક જ એર એમ્બ્યુલન્સ ઓપરેટ થતી હતી.
એપ્રિલ અને મે મહિનામાં જે પ્રમાણે કોરોનાના કેસો (Corona Case) વધ્યા હતા, તેના કારણે દર્દીઓને ફેફસામાં ઇન્ફેક્શનની ફરિયાદો પણ વધી હતી. જેમાં સુરતથી ચેન્નાઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં વધુ સારવાર માટે જનારા દર્દીઓની સંખ્યા પણ વધી હતી.
સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈનિના જણાવ્યા પ્રમાણે કોરોના પહેલા સુરત એરપોર્ટથી વર્ષમાં માત્ર એકવાર જ એર એમ્બ્યુલન્સ દ્વારા અન્ય શહેરમાં દર્દીઓને સારવાર અર્થે લઇ જવાતા હતા. જોકે કોરોનાના કારણે એપ્રિલમાં પાંચ અને મે મહિનામાં બે એમ કુલ સાત દર્દીઓને ચેન્નાઈ અને હૈદરાબાદ લઈ જવાયા હતા.
સામાન્ય રીતે એર એમ્બ્યુલન્સથી કોઈ દર્દીને જ્યારે અન્ય શહેરમાં શિફ્ટ કરવા માટે 70 થી 80 હજારનો ખર્ચ થતો હોય છે. કોરોનાના કારણે ફેફસાંનું સંક્રમણ દૂર કરવા માટે દર્દીઓને અન્ય શહેરમાં લઇ જવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત કાર્ગો ટર્મિનલથી એર ઈન્ડિયા અને સ્પાઇસ જેટ દ્વારા અન્ય શહેરોમાં દવા, સિલિન્ડર પણ મોકલવામાં આવ્યા હતા. 235 ઓક્સિજન કન્સ્ટ્રેટર અને 9 ઓક્સિજન સિલિન્ડર, કોરોનાની દવા, ઇન્જેક્શન અને વેકસિન મળીને 7723 કિલોગ્રામનું કાર્ગો મેડિકલ ઓપરેશન પણ હાથ ધરાયું હતું. આ કાર્ગો મેડિસિન સુરતથી દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને બેંગલોર મોકલાયું હતું.