સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા લોન મેળાના લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી મુકેશ પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ તેમજ વિવિધ બેંકના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ગૃહ મંત્રી તેમજ ઉપસ્થિત રહેલા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને એક વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત શહેર પોલીસ દ્વારા લોકો વ્યાજખોરના ચક્કરમાં ન ફસાય એટલા માટે લોન મેળવવામાં લોકોને મદદ કરવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે લોન મેળાના લાભાર્થીઓને ચેક વિતરણ કરવાનો કાર્યક્રમ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મંત્રી મુકેશ પટેલ કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશ, સુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા કલેકટર આયુષ ઓક અને વિવિધ બેન્કના ચેરમેનો અને મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરના નાગરિકો પણ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા 226 જેટલા કેસ વ્યાજખોરો સામે કરવામાં આવ્યા છે અને 291 આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત 15 જેટલા આરોપી સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તો લોકોને આશ્વાસન આપતા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નાગરિકોને હેરાન કરનારને બક્ષવવામાં આવશે નહીં.
બીજી તરફ રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લોકોને સંબોધન કરતા સમયે પોલીસ દ્વારા કરવામાં આવેલી લોકોની મદદને લઈને નિવેદન આપ્યું હતું અને તેમને સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત સુરત પોલીસ કમિશનરને પણ અપીલ કરવામાં આવી હતી કે, જે પ્રકારે વ્યાજખોર સામે કાર્યવાહી છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે તે જ પ્રકારે કામગીરી પોલીસ વિભાગ દ્વારા આખું વર્ષ કરવામાં આવે.
આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ યુનિક છે. લોન મેળાના ચેક વિતરણ કાર્યક્રમમાં મોટી હસ્તીઓ પણ આવી છે. તેમને એવું પણ કહ્યું હતું કે એક સમયે લોકોને પોલીસ બોલાવે તો ડર લાગતો હતો પરંતુ આજે લોકોને લોન લેવા પોલીસ બોલાવે છે. પોલીસ તરફથી પણ લોકોને લોન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમને એવું પણ કહ્યું હતું કે ક્રાઈમ ઘટતા પોલીસ પાસે સમય વધ્યો છે અને એટલે જ તેઓ લોકોની મદદ કરી રહ્યા છે.
સુરતના ઇન્ડો સ્ટેડિયમ ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં 315 કરતાં વધુ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, કેન્દ્રીય કક્ષાના રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, સુરત પોલીસ કમિશનરના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને 50000થી લઈને પાંચ લાખ સુધીની રકમનું ચેક વિતરણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદના આંગણે બાળકો માટે ઉત્તમ કામગીરી, અમેરિકા સહિતના દેશોના 13 શ્રેષ્ઠ સર્જનો દ્વારા કરાયા રોજના 15 ઓપરેશન