
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મીલેનિયમ કોમ્પ્લેક્સમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી “અનભ જેમ્સ” કંપનીમાં કામ કરતા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
કંપનીમાં લગભગ 100 કારીગર કામ કરતા હોય, તેમામાંથી 70ને તબિયત લથડતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમામની હાલત હાલ સ્થિર હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીના પીવાના પાણીના ટાંકા/ફિલ્ટર પ્લાન્ટમાં કોઈ અસામાજિક તત્વે “સેલ્ફોસ” નામની ઝેરી દવા નાખી દીધી હતી. સેલ્ફોસ સામાન્ય રીતે અનાજને જીવાતથી બચાવવા માટે વપરાતી કીટનાશક દવા છે, પરંતુ માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે. કારીગરોની તબિયત બગડતા તાત્કાલિક કંપનીના માલિકને જાણ કરવામાં આવી હતી અને તેમને તુરંત હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસ દ્વારા ફોરેન્સિક ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી દોષિત વ્યક્તિઓ સુધી પહોંચવામાં સહાય મળી શકે. ડીસીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર આરોપી સામે IPC મુજબ કાયદેસર પગલાં લેવામાં આવશે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરક્ષા અને સફાઈ વ્યવસ્થા અંગે ઘોર બેદરકારી ભારે પડી શકે છે. આવી ઘટનાની પુનરાવૃત્તિ અટકાવવી તાત્કાલિક જરૂર બની ગઈ છે.
Published On - 7:43 pm, Wed, 9 April 25