Surat: લકઝરી બસ દુર્ઘટના કેસમાં FSL રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા, જવાબદારો સામે કાર્યવાહી થશે

લક્ઝરી બસમાં લાગેલી આગની ઘટનામાં એક મુસાફરનું મોત થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બસમાં ગુડ્સ પાર્સલ મુકનારા મજૂરની પોલીસે પૂછપરછ કરી. જેમાં સામે આવ્યું કે બસમાં ભોગ બનનાર દંપતીના સોફા નીચે પાર્સલ મુક્યુ હતું.

Surat: લકઝરી બસ દુર્ઘટના કેસમાં FSL રિપોર્ટ સબમિટ કરે તેવી શક્યતા, જવાબદારો સામે કાર્યવાહી થશે
Luxury bus fire (File Photo)
| Edited By: | Updated on: Jan 24, 2022 | 3:03 PM

સુરત (Surat)ના વરાછા વિસ્તારના હીરાબાગમાં ખાનગી ટ્રાવેલ્સ ( Travels )ની લકઝરી બસમાં આગ(Fire ) લાગવાના કેસમાં તપાસ તેજ બની છે. આજે FSL દ્વારા પોલીસને રિપોર્ટ સબમિટ કરાય તેવી શક્યતા છે.રિપોર્ટમાં આગનું કારણ સ્પષ્ટ થયા બાદ જવાબદારો સામે પોલીસ કાર્યવાહી થઇ શકે છે. જોકે હાલ તો FSLના રિપોર્ટ પર જ બધો આધાર છે.

સુરતથી ભાવનગર જવા માટે નીકળેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસમાં 18 જાન્યુઆરીની રાત્રે હીરાબાગ સર્કલ પાસે આગ લાગી હતી. એટલું જ નહીં આ બનાવ ગંભીર અને તમામને હચમચાવી દેનાર હતો. થોડા જ સમયમાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. અંદર બેઠેલા મુસાફરો ચીસો પાડવા લાગ્યા હતા. સ્થળ ઉપર ભારે અફડાતફડી સર્જાઈ હતી. મુસાફરો જીવ બચાવવાના પ્રયત્નોમાં બારીઓમાંથી કૂદવા લાગ્યા હતા.

દુર્ભાગ્યવશ બસમાં સવાર યુવાન દંપતી ગંભીર રીતે દાઝી ગયા હતા. જે પૈકી પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું. જયારે પતિ સારવાર હેઠળ છે. એટલુંજ નહીં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે બસની ડિક્કીમાં સૅનેટાઇઝર,ઈલેક્ટ્રીક સામાન સહીત જવલનશીલ અને આગમાં ઘી નાખવાનું કામ કરે તેવી વસ્તુઓ હતી.

લક્ઝરી બસમાં લાગેલી આગની ઘટનામાં એક મુસાફરનું મોત થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બસમાં ગુડ્સ પાર્સલ મુકનારા મજૂરની પોલીસે પૂછપરછ કરી. જેમાં સામે આવ્યું કે બસમાં ભોગ બનનાર દંપતીના સોફા નીચે પાર્સલ મુક્યુ હતું. અને આ પાર્સલમાં એસીટ્રોન એસિડ હોવાની પ્રબળ શક્યતા છે. એસીટ્રોન એસિડ હીરા સાફ કરવા અને કાચની સફાઈ માટે વપરાય છે.

કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજધાની ટ્રાવેલ્સની બસ આગ દુર્ઘટનામાં ભાવનગર ખાતે રહેતા વિશાલ નારાયણ નવલાની અને પત્ની તાન્યા દાઝી ગયા હતા. જે પૈકી તાન્યાનું મોત થઇ ગયું છે.આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે ડીક્કીમાં સૅનેટાઇઝરની બોટલો,ઇલેક્ટ્રિકનું સામાન,કોસ્મેટિક્સ આઇટમ્સ,કપડાં,શ્રીફળ,બંગડીઓ સહીત વસ્તુઓ હતી. જે તમામ કબજે કરવામાં આવી હતી.

આગની ઘટના બાદ એફએસએલ દ્વારા ઘટનાસ્થળ અને કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસે માહિતી આપી હતી કે બસમાં 12 જેટલા મુસાફરો હતા. અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો-

રાજકોટ : લક્ષ્મીનગર અંડરબ્રિજનું CMના હસ્તે લોકાર્પણ, વિજય રૂપાણી અમારા હૃદયમાં છે : અરવિંદ રૈયાણી

આ પણ વાંચો-

સુરત બન્યું હિલ સ્ટેશન, તાપમાનનો પારો ગગડતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા

 

Published On - 3:02 pm, Mon, 24 January 22