સરકારે ગણપતિ મહોત્સવ ઉજવવાની પરવાનગી આપી દેતા જ ગણેશભક્તો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ગણપતિ બાપ્પાને આવકારવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પણ આ વખતે આયોજકોને તૈયારી માટે સમય ઘણો ઓછો સમય મળ્યો છે. તેવામાં મંડપ, ડેકોરેશનથી લઈને ગણપતિની મૂર્તિના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
આ વખતે ગણપતિ ઉત્સવ ઉજવવા માટે ભક્તો 25 થી 30 ટકા જેટલો વધારાનો ખર્ચ કરવો પડશે. જોકે સાર્વજનિક આયોજનો પર સરકારે રોક લગાવી છે. મોટા આયોજનો પર ભલે સરકારની રોક હોય પણ ભક્તોનો ઉત્સાહ ખુબ વધારે જોવા મળી રહ્યો છે. સરકારે 4 ફૂટ સુધી પ્રતિમાની સ્થાપના કરવાને મંજૂરી આપી છે. જેને લઈને છેલ્લી ઘડીએ મૂર્તિકાર અને કારીગરોની વ્યવસ્થા ઉભી કરવી પડી છે.
જોકે કોરોનાના કારણે આ વખતે જે કારીગરો મૂર્તિ બનાવવા માટે આવી રહ્યા છે તેમને બમણું વળતર પણ ચૂકવવું પડી રહ્યું છે. મૂર્તિ બનાવનાર કારીગરો મોટામાં પશ્ચિમ બંગાળમાંથી આવે છે. જેમને સ્પેશ્યલ ટિકિટ આપીને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૂર્તિ બનાવવા માટે વપરાતી સામગ્રીઓ પણ મોંઘી થઇ ગઈ છે.
કોરોનાના કારણે કારીગરો ફરી અહીં આવવાનું ટાળી રહ્યા છે. જે કારીગરોને પહેલા દર મહિને 10 હજાર આપતા હતા. તેમને હવે 20 હજાર સુધી આપવા પડી રહ્યા છે. સૂકા ઘાસ માટે 700 રૂપિયાની જગ્યાએ 1300 રૂપિયા, 10 કિલો માટી માટે 140 રૂપિયાની જગ્યાએ 170 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ગોડાઉનનું ભાડું પણ દોઢ ગણું વધારી દેવામાં આવ્યું છે. વાંસની કિંમત પણ 10 ટકા વધી ગઈ છે.
એક મૂર્તિકારે જણાવ્યું છે કે ફક્ત ચાર ફૂટની મૂર્તિ બનાવવાથી મૂર્તિકારોને નુકશાન થશે. ભક્તો ઓછી કિંમતે મૂર્તિઓ માંગે છે. પરંતુ તેમની મજબૂરી છે કે ઓછી કિંમત પર તેઓ મૂર્તિઓ આપી નથી શકતા. માટી, વાંસ, કલર, કેમિકલ, મજૂરીનો ખર્ચો વધી ચુક્યો છે. જેના કારણે ગણપતિની પ્રતિમાઓની કિંમત પહેલા કરતા 25 ટકા વધારે હશે.
અન્ય એક મૂર્તિકાર જણાવે છે કે સામાન્ય રીતે ગણપતિ ઉત્સવ માટે પશ્ચિમ બંગાળના કારીગરોને સુરત બોલાવવામાં આવે છે. સાડા ચાર મહિના પહેલા જ તેઓ સુરત આવીને મૂર્તિ બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. પરંતુ આ વર્ષે વધારે તૈયારી કરવાનો સમય મળ્યો નથી. છેલ્લી ઘડીએ બધી તૈયારી કરવી પડી રહી છે. જેથી બધું જ બે થી ત્રણ ગણું મોંઘુ થઇ ગયું છે.
આ પણ વાંચો :