કોરોના વાયરસ સામે દેશ દુનિયા લડી રહી છે. ગુજરાત આખામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારીમાં કોરોના સામે લડવા સુરતમાં (Surat) શરૂ થયેલા કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરનો મહત્વનું યોગદાન રહ્યું છે.
પહેલી લહેર કરતા કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક નીવડી છે. ત્યારે આવા સમયે શહેરમાં કાર્યરત થયેલા આઇસોલેશન સેન્ટરોએ કોરોનાની મહામારીનો વકરતી રોકવા માટે અમૂલ્ય ફાળો આપ્યો છે.
સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં કુલ 26 મોટા આઇસોલેશન સેન્ટર છે. જ્યાં છેલ્લા એક મહિનામાં 2400 કોરોનાના દર્દીઓએ સારવાર લીધી છે, જેમાંથી 1665 દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ પણ થયા છે.
જેમ જેમ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધતો જતો હતો. આ આઇસોલેશન સેન્ટરોમાં પણ બેડ અને અન્ય મેડિકલ સુવિધાઓ વધારવામાં આવી હતી. જુદા જુદા સમાજ દ્વારા પણ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરો ઉભા કરાયા હતા. હાલમાં સુરતના આઇસોલેશન સેન્ટરોમાં 556 ઓક્સિજન સપોર્ટ સાથેના 1500 બેડની વ્યવસ્થા છે, જેમાંથી હાલ કુલ 266 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
પાલિકાના ઉચ્ચ અધિકારીઓનું માનીએ તો સુરતમાં શરૂ થયેલા આ આઇસોલેશન સેન્ટરો શહેરના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવ્યું છે. મોટા સેન્ટરોની સાથે સાથે અંદાજે 500 જેટલા દર્દીઓ 20 કરતા ઓછા બેડ ધરાવતા આઇસોલેશન સેન્ટરમાં પણ સારવાર લઈ સાજા થયા છે.
હાલમાં સુરતમાં એવા પણ આઇસોલેશન સેન્ટરો છે જ્યાં કોરોનાના દર્દીઓની સારવાર તો થાય જ છે પણ ટેસ્ટિંગ અને વેકસીનેશનની કામગીરી પણ કરવામાં આવે છે. આ સેન્ટરોમાં ફક્ત બેડની જ નહીં પણ ઓક્સિજન, ડૉક્ટર્સ, નર્સિંગ, અને અન્ય સ્ટાફની પણ વ્યવસ્થા છે. આ સેન્ટરો પેશન્ટની સાથે સાથે તેમના સંબંધીઓને પણ ફૂડની વ્યવસ્થા કરી આપે છે.
આવા આઇસોલેશન સેન્ટરોમાં દર્દીઓને ઘર જેવો જ માહોલ અને કાળજી મળતા ઘણા દર્દીઓ અહીંથી જલ્દી સાજા થઈને ઘરે પરત ફરી રહ્યા છે. જેથી સુરત માટે આ આઇસોલેશન સેન્ટરો કોરોના સામેની લડાઈમાં યુનિક સાબિત થયા છે.