સુરત શહેરનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને ગુનાખોરી રોકવી પણ પોલીસ માટે પડકારજનક થઇ રહી છે. આવામાં હવે પોલીસ સ્ટેશનની સંખ્યા વધારવી પણ સમયની માગ છે. જેથી વધતી ગુનાખોરી પર પણ અંકુશ લાવી શકાય.
ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષિત કરવા માટે અને કાયદો વ્યવસ્થાની પતિસ્થિત વધુ સઘન બને તે માટે રાજ્યના પોલીસ તંત્રમાં ઉત્તરોઉત્તર વધારો કરીને નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે રાજ્યના પાંચ જિલ્લાઓમાં પીઆઇ અને પીએસઆઇ કક્ષાના 19 પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વલસાડ રૂરલ, પારડી અને ડુંગરા, નવસારી જિલ્લાના વિજલપોર પોલીસ સ્ટેશનને તથા બનાસકાંઠા જિલ્લામાં પાલનપૂર પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશનને પીએસઆઇ કક્ષમાંથી પીઆઇ કક્ષાના પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
સુરત ખાતે ઉમરા, કોસંબા નેશનલ હાઇવે અને ભરૂચ ખાતે મોટવાણ અંદાડા પર નવી આઉટ પોસ્ટ કાર્યરત કરાશે. આ માટે કુલ 47.18 કરોડના ખર્ચે કુલ 1401 નવી જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે. સુરત શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને શહેરમાં વેસુ, પાલ , સારોલી, ઉતરાણ અને અલથાણ મળીને કુલ પાંચ નવા પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યા છે.
તે જ પ્રમાણે સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સુરત ગ્રામ્યમાં અનાવલ, મઢી, ઝંખવાવ મળીને કુલ નવા ત્રણ પોલીસ સ્ટેશનો મંજુર કરવામાં આવ્યા છે. જે માટે 586 જગ્યાઓ મંજુર કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં સુરત શહેરનો વિસ્તાર અને વ્યાપ ખુબ વધ્યો છે. તેવામાં ગુનાખોરી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવું પણ પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. જો વિસ્તાર વધતા તે વિસ્તારોમાં પોલીસ મથકો અને પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવે તો તેના લીધે વધતી ગુનાખોરી પર અંકુશ મેળવી શકાય તેમ છે.
આમ, સરકાર દ્વારા હવે સુરત શહેરને નવા પાંચ અને ગ્રામ્ય વિસ્તારમાં નવા ત્રણ એમ કુલ આઠ પોલીસ મથકો ફાળવવામાં આવશે.