કોરોના મહામારી ના બીજા તબક્કાની મહામારી પર અંકુશ મેળવવાની સાથે પશ્ચિમ રેલવેની 75 થી વધુ ટ્રેનો ફરી દોડતી થઇ ચુકી છે. જોકે આ તમામ ટ્રેનોને બાદ કરતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ ગુજરાત કવિન, ગુજરાત એક્સપ્રેસ, દાહોદ ઇન્ટરસિટી, ભિલાડ એક્સપ્રેસ ટ્રેન હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. જેને પગલે નાછુટકે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને અનેક ગણું વધારે ભાડું ચૂકવીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.
પશ્ચિમ રેલવેના મનસ્વી નિર્ણયથી હજારો મુસાફરો હેરાન થઇ રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો ગુજરાત કવિન સહિતની ટ્રેનો શરૂ કરવામાં આવે તો પાસ હોલ્ડર સહિત હજારો મુસાફરોને રાહત મળે તેમ છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે નાના મોટા 50 જેટલા શહેરોમાં નોકરી ધંધા અર્થે જતા હજારો નાગરિકોને સુવિધાને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતઝેડઆરયુસીસી સભ્ય રાકેશ શાહ દ્વારા પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત ક્વીન સહિતની ટ્રેનો બંધ હોવાના કારણે નાછૂટકે લોકોને સડકમાર્ગે અપડાઉન કરવું પડી રહ્યું છે. જે ખર્ચાળ છે અને વધુ સમય માંગી લે છે.
આ સંદર્ભે એ.આર.ઓ દિનેશ શર્માએ જણાવ્યું હતું કે રેલવે દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તબક્કાવાર આવશ્યક ટ્રેનો શરૂ કરવામાં આવશે. આ સિવાય તેમણે જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવે દ્વારા આજથી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થવા જઈ છે.
કોરોના પર અંકુશ મેળવવાની સાથે જ 75થી વધુ સ્પેશિયલ અને હોલીડે ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વસતા હજારો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને નાછૂટકે આ ટ્રેનોમાં અનેક ગણું ભાડું ચૂકવીને મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે સવારે મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ માટેની ગુજરાત કવિન, ગુજરાત એક્સપ્રેસ, મુંબઈ સુરત જામનગર ઇન્ટરસિટી, વલસાડ દાહોદ ઇન્ટરસિટી, વડોદરા એક્સપ્રેસ ટ્રેન હજુ પણ શરૂ કરવામાં આવી નથી.
આ કારણે અમદાવાદથી મુંબઇ વચ્ચેના વાપી, વલસાડ, નવસારી, સુરત, કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ સહિત 50થી વધુ નાના મોટા શહેરો વચ્ચે ધંધા માટે આવાગમન કરતા હજારો યાત્રીઓની હાલત છેલ્લા એક વર્ષ કરતાં પણ વધુ સમયથી કફોડી થવા પામી છે. આમ પશ્ચિમ રેલવે દ્વારા હાલ માત્ર ને માત્ર મબલખ આવક રળી આપતી ટ્રેનો જ શરૂ કરવામાં આવી છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગિય પરિવારો માટે અન્ય ટ્રેનો પણ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો: કેમ સિવિલના ડૉક્ટરોએ કાળા કપડાં પહેરી કર્યું વિરોધ પ્રદર્શન? આ તારીખથી હડતાલની આપી ચીમકી
આ પણ વાંચો: Surat: ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ
Published On - 4:00 pm, Mon, 21 June 21