તકેદારી વધારવા બેઠક મળી
સુરત મનપા, ફોસ્ટા એસોસીએશન અને જે.જે.ટેક્સટાઈલ માર્કેટના સંયુક્ત ઉપક્રમે જે.જે. ટેક્સટાઈલ માર્કેટના હોલ ખાતે કોવિડ સંક્રમણ અટકાવવા,વિશેષ તકેદારી રાખવા તથા વેકિસન અંગે જાગૃતિ કેળવવાને લઇને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ચર્ચા થયા પ્રમાણે હવે માર્કેટના પ્રવેશદ્વાર ૫૨ ‘નો માસ્ક નો એન્ટ્રી’, ‘નો વેકસિન નો એન્ટ્રી’ બોર્ડ હવે લગાવવું પડશે. તેમજ આ બોર્ડ નહી લગાડનાર સંસ્થા સામે સખત કાર્યવાહી કરવાની ચીમકી પણ મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
સુરતમાં સંક્રમણ વધવાનો ખતરો
સુરત શહેરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધી બે કેસ નોધાયા છે. જયારે મંગળવારે વધુ એક શંકાસ્પદ કેસ નોધાતા મહાનગરપાલિકાનું તંત્ર ચિતામાં મુકાયું છે. સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા, ફોસ્ટા અને જે.જે ટેક્સટાઇલ માર્કેટના સહીયારા પ્રયાસથી માર્કેટના હોલમાં એક બેઠક મળી હતી.
જાણે કોરોના ચાલ્યો ગયો હોય તેવુ માનીને ગણેશોત્સવ , નવરાત્રી અને દિવાળી દરમિયાન સુરતના બજારોમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને સામાજીક અંતરનું પણ પાલન થયું નહોતું. જોકે હવે આ જ વલણ યતાવત રાખવુ શહેરીજનો માટે યોગ્ય નથી.
લિંબાયત ઝોન દ્વારા દરેક ટેક્સટાઈલ માર્કેટ, દુકાનો સહિતના સ્થળે કોવિડ ગાઈડલાઈનના પાલન માટે સ્વચ્છ સુરક્ષા કવચ સમિતિ બનાવવામાં આવી છે. આ બાબતે લિંબાયત ઝોનલ દ્વારા જણાવાયુ હતું કે કોવિડ સંક્રમણ અટકાવી શકાય તે માટે વેકસીનેશન ઉપરાંત કોવિડ અંગેની માહિતી સુરત મહાનગરપાલિકાની suratmunicipal.org પોર્ટલ પર મુકવી પડશે. જે સંસ્થાઓ રોજેરોજ એન્ટ્રી નહીં કરે તેવી સંસ્થા સામે નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે . તમામ ટેક્સટાઈલ માર્કેટ તથા દુકાનોના પ્રવેશદ્વાર પર ‘ નો માસ્ક, નો સર્વિસ ‘ અને ‘ નો વેક્સીન નો એન્ટ્રી’ ના બોર્ડ લગાવવાના રહેશે. તમામ પાત્રતા ધરાવતા 18 વર્ષથી વધુ વયના નાગરિકો કોવિડ રસીકરણથી સંપૂર્ણપણે રક્ષિત થાય તેવી તમામ ટેક્સટાઈલ માર્કેટ , દુકાનદારો અને જાહેર જનતાને અપીલ કરી હતી.
Published On - 6:03 pm, Tue, 21 December 21