સુરત (Surat) શહેરને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સુરતમાં હવે વધુ એક નવો અને 118મો બ્રિજ (Bridge) હવે લોકાર્પણ માટે તૈયાર થઈ ગયો છે. સુરતવાસીઓને હવે ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે, કારણકે સુરતમાં ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે સુરતવાસીઓની કાયમી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવશે. આ બ્રિજ ગુજરાતનો (Gujarat) પહેલો અને સૌથી લાંબો 2643 મીટરનો મલ્ટિલેયર ફ્લાયઓવર બ્રિજ (Multilayer flyover bridge) છે.
આ બ્રિજ બનવાથી સુરતના 15 લાખ લોકોને સીધો ફાયદો થશે અને ભયાનક ટ્રાફિકથી રાહત મળશે. આ બ્રિજથી હાઇવે સાથે પણ સીધી કનેક્ટિવિટી થશે. બ્રિજના લીધે સુરત-કડોદરા રોડ પર રીંગરોડ ફ્લાયઓવરથી સીધી રેલવે લાઇન પણ ક્રોસ કરી શકાશે. સહારા દરવાજા મલ્ટિલેયર ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન જૂનમાં થવાની સંભાવના છે.
સુરત શહેરમાં બનેલો આ ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજ રૂપિયા 133 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ બનવાથી લોકોના સમય અને ઇંધણની બચત તો થશે જ અને શહેરનું પ્રદૂષણ ઓછું થશે. સુરતના વરાછા વિસ્તારમાંથી કામરેજ તરફ જવા માટે અલગથી રેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ સ્ટેશનથી સુરત-કડોદરા રોડ પર જતા ટ્રાફિકને પણ આ બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો રેલવે ઓવરબ્રિજ છે. જે રીતે સુરતનો સતત વિકાસ થઈ રહ્યો છે. અને નવા બ્રિજ બની રહ્યા છે તેની યાદીમાં વધુ એક બ્રિજનો ઉમેરો થયો છે. સ્મીમેર હોસ્પિટલમાં આવતા લોકોને પણ મોટી રાહત મળશે.
સુરતમાં દિન પ્રતિદિન વાહનોની વસ્તી વધી રહી છે. તેની સાથે સુરત શહેરમાં દિવસે દિવસે વાહનો અને ટ્રાફિકમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. તે જોતા મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા અને ખાસ કરીને બ્રિજના કામો હાથ ધરવામાં આવે છે. ત્યારે ટ્રાફિકથી ગિચોગીચ રહેતા રિંગરોડ વિસ્તારમાં બની રહેલો આ બ્રિજ બનવાથી મોટી હાશ થશે.
Published On - 4:23 pm, Tue, 24 May 22