શાળા કે ટોર્ચર સેન્ટર? કચ્છ-સુરતમાં શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થિનીઓની આત્મહત્યાનો ખૂલાસો, બનાસકાંઠામાં સગીરાનું શંકાસ્પદ મોત-Video

રાજ્યમાં દીકરીઓના મોતથી હાહાકાર થઈ ગયો છે. છેલ્લા થોડા દિવસોથી અનેક જિલ્લાઓમાંથી દીકરીના અગમ્ય કારણોસર મોત અને આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. સૌથી વધુ ચોંકાવનારી ઘટના કચ્છ અને સુરતની છે. આ બંને જિલ્લામાં શાળાના ત્રાસથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો થયો છે.

| Edited By: | Updated on: Jan 24, 2025 | 8:18 PM

રાજ્યમાં દીકરીઓના મોતથી હાહાકાર થઈ ગયો છે. છેલ્લા થોડા દિવસોથી અનેક જિલ્લાઓમાંથી દીકરીના અગમ્ય કારણોસર મોત અને આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. સૌથી વધુ ચોંકાવનારી ઘટના કચ્છ અને સુરતની છે. આ બંને જિલ્લામાં શાળાના ત્રાસથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો થયો છે.

ગુજરાતમાં એક બાદ એક દીકરીઓના આપઘાતની ઘટના સામે આવી રહી છે. જેમા કચ્છ અને સુરતમાં ધોરણ 8 અને ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કચ્છના રાપરમાં ધોરણ 8 ની વિદ્યાર્થિનીએ શિક્ષિકાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. ભીમાસરમાં 4 દિવસ પહેલા આપઘાત કર્યો હતો. જેમા સુસાઈડ નોટમાં શિક્ષિકાએ અસહ્ય માનસિક ત્રાસ આપતા વિદ્યાર્થિનીએ પગલુ ભર્યુ હોવાનો ખૂલાસો થયો છે. આ કેસમાં વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાર્થિનીની સુસાઈડ નોટ મળ્યા બાદ નવા ખુલાસા થઈ રહ્યા છે. સ્કૂલની આચાર્ય દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થયો છે. આચાર્ય માનસિક ત્રાસ આપતા હોવાથી કિશોરીએ જીવન ટૂંકાવ્યું છે. 17 જાન્યુઆરીએ આત્મહત્યા બાદ ઘરના સભ્યોને ચાર દિવસે સુસાઈડ નોટ મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ તરફ સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીના આપઘાત બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીના તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમા શાળા 15000 નિયત ફી કરતા વધુ ફી વસુલતી હોવાનો ખૂલાસો થયો છે. ઉપરાંત શાળા દ્વારા વિદ્યાર્થિનીને ફી માટે ટોર્ચર કરાયાનું પણ તપાસમાં ખૂલ્યુ છે. જો કે પોલીસે અત્યાર સુધીની તપાસમાં ફી ના કારણે ટોર્ચર સહન ન થતા વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ ન થયુ હોવાનું જણાવ્યુ છે. સંચાલકો સામે વિદ્યાર્થિનીના પરિવારજનોએ ફી માટે ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.

સ્કૂલમાં બાકી ફી મુદ્દે વિદ્યાર્થિનીને ટોર્ચર કરવામાં આવતી હતી. વિદ્યાર્થિનીને જાણી જોઇને અપમાનીત કરવામાં આવી, ક્લાસ રૂમ બહાર ઉભી રાખવામાં આવી. બાળકીનાં આપઘાત બાદ સામે આવેલા CCTVમાં પણ જોઇ શકાય છે કે વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હતી. ઉપરાંત નીચે બેસાડવામાં આવતી હોવાનું પણ સામે આવ્યુ છે.

આ તરફ બનાસકાંઠામાં પણ સગીરાના મોતનું રહસ્ય ઘેરાયું છે. સગીરાની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે રબારી સમાજે તપાસની માગ કરી છે. પોલીસે પણ એક શકમંદ આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. પરિવારજનોનો આરોપ છે કે સગીરાનું અપહરણ કરી તેની સાથે અઘટિત કૃત્ય કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે. જો કે, કૂમળા ફૂલ જેવી બાળાઓના મોતથી પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે.

સુરત અને કચ્છના કિસ્સામાં સ્કૂલ ટોર્ચર સેન્ટર જ સાબિત થઇ છે. બંને પરિવારોમાં હાલ માતમ છવાયો છે. જો કે સ્કૂલ સંચાલકો સામે ભારે આક્રોશ પણ છે. જે વાલીઓ પોતાના બાળકોને ઘડતર અને ભણતર માટે સ્કૂલમાં મોકલશે. તે સ્કૂલે આ બંને પરિવારો પાસેથી બાળકો છિનવી લીધા. એવો તો ત્રાસ આપ્યો કે વિદ્યાર્થિનીઓ સહન ના કરી શકી અને મોતને જ વ્હાલું કરી નાખ્યું. આ બંને સ્કૂલોમાં સ્કૂલ સંચાલકો સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે કે પછી તેઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે. જેના કારણે તેઓ આત્મહત્યા કરવા માટે મજબૂત થઇ જાય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:17 pm, Fri, 24 January 25