અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલની (Civil Hospital) બિસ્માર હોસ્ટેલને મામલે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન હજુ યથાવત છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સિવિલ કેમ્પસમાં ઘાયલ થયા હોય તેવા પાટાપિંડી કરી રેલી કાઢી દેખાવો કર્યા હતો. આ વિરોધ પ્રદર્શનમાં નારા લગાવીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. વિદ્યાર્થીઓએ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટની ઑફીસ બહાર નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિવીલની હોસ્ટેલમાં અવારનવાર છત પરથી પોપડા પડે છે જેથી સિવીલની હોસ્ટેલમાં રહેતી છોકરીઓના જીવ જોખમમા છે. ત્યારે ખંડેર હોસ્ટેલ મામલે આરોગ્ય મંત્રીને લેખિતમા રજૂઆત કરાઈ છે. તેમજ ડીન સુપરિન્ટેન્ડન્ટને અનેક ફરિયાદો કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે.
જાહેર છે કે રાજ્ય સરકારમાં નવનિયુક્ત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હમણાં જ રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાનું નિવેદન આપ્યું હતું. ત્યાં બીજી તરફ અમદાવાદ સિવિલની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સલામત નથી. હોસ્ટેલ બિસ્માર હાલતમાં હોઈ સતત અકસ્માતના ભય હેઠળ તેમાં રહેવા મજબુર વિદ્યાર્થીઓ હવે ગાંધી ચિંધ્યા માર્ગે છે. જોવું રહ્યું કે ભારતના આરોગ્ય તંત્રનું ભવિષ્ય જેના હાથમાં છે તે ભાવી ડોક્ટર્સ અને હેલ્થ કર્મચારીઓની સમસ્યાનું નિવારણ ક્યારે આવે છે.
આ પણ વાંચો: નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી
Published On - 5:04 pm, Wed, 6 October 21