નૈઋત્યના ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વઘુ વરસ્યો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે ઘટ

દક્ષિણ ગુજરાતના 37 તાલુકામાં અત્યાર સુધીમાં 1569 મીમીથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે.

નૈઋત્યના ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી વઘુ વરસ્યો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે ઘટ
| Updated on: Aug 17, 2026 | 2:47 PM

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયને હવે લગભગ એક મહિનો બાકી છે ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 74.49 ટકા વરસાદ નોંધાયો છે. 17 ઓગસ્ટના સવારના 6 વાગ્યા સુધી રાજ્યમાં સરેરા73.03 મીમી વરસાદ થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં રાજ્યમાં સરેરાશ 65.67 ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની તારીખ સામાન્ય રીતે 15 સપ્ટેમ્બર માનવામાં આવે છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહ્યું છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં સિઝનના સરેરાશ વરસાદની સરખામણીએ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. 17 ઓગસ્ટ સુધીમાં નવસારીમાં 120.94 ટકા, વલસાડમાં 113.51 ટકા અને સુરતમાં 105.10 ટકા વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના 37 તાલુકામાં અત્યાર સુધીમાં 1569 મીમીથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં વરસાદની મોટી ઘટ

રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં 17 ઓગસ્ટના રોજ સવારના 6 વાગ્યા સુધીમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. તેમાં દેવભૂમિ દ્વારકામાં માત્ર 6.41 ટકા, પોરબંદરમાં 17.89 ટકા, કચ્છમાં 29.25 ટકા અને જામનગરમાં 28.88 ટકા વરસાદ થયો છે.

આ ઉપરાંત રાજકોટમાં 46.85 ટકા, અરવલ્લીમાં 45.87 ટકા, સાબરકાંઠામાં 46.46 ટકા અને ગીર સોમનાથમાં 46.38 ટકા વરસાદ નોંધાયો છે. એટલે કે ચોમાસાની વિદાયને એક મહિનો બાકી હોવા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી ખાધ યથાવત છે.

દક્ષિણ ગુજરાતમાં જ સૌથી વધુ સ્થળાંતર અને રેસ્ક્યૂ

1 જૂનથી 17 ઓગસ્ટ સુધીમાં વરસેલા ભારે વરસાદ અને વરસાદી પૂરને કારણે રાજ્યના 19 જિલ્લાઓમાંથી કુલ 84,318 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 24 જિલ્લાઓમાંથી 9,822 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

આ પૈકી નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાંથી જ 68,266 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જે કુલ સ્થળાંતર કરાયેલા લોકોના આશરે 81 ટકા છે. જ્યારે આ ત્રણ જિલ્લામાંથી 7,412 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જે કુલ રેસ્ક્યૂના 75 ટકાથી વધુ છે.

રવિવારે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

આજે સોમવારે, રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સોવમાર સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે રાજ્યના કુલ વરસાદના આંકડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

જોકે, એક તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો વરસાદ 100 ટકાને પાર કરી ગયો છે, ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ હજુ પણ વરસાદની મોટી ઘટનો સામનો કરી રહ્યા છે. હવે આગામી એક મહિનામાં થનારો વરસાદ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આ ખાધ કેટલી હદે પૂરી કરે છે તે મહત્વનું રહેશે.

Breaking News રૂ. 10 લાખ સુધી આવક ધરાવનાર બિન અનામતવર્ગના પરિવારના વિદ્યાર્થીને પણ હવે મળશે વિદેશ અભ્યાસ માટેની લોન

Follow Us
Loading...
Unable to load recommendations.