
દાહોદ શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બે શાખાઓમાં બોગસ દસ્તાવેજોને આધારે લોન મેળવવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં તત્કાલિન મેનેજરની સહિત કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં નકલી શિક્ષક, ST ડ્રાઇવર અને રેલવે કર્મચારીઓએ બનાવટી પગાર સ્લિપ અને ખોટા દસ્તાવેજોના આધારે લોન મેળવી. તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદીની મદદથી 19 આરોપીઓએ આવકના ખોટા દસ્તાવેજો રજૂ કરી, 4.75 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
દાહોદની સ્ટેશન રોડ પરની SBI શાખામાં પણ 2021થી 2024 દરમિયાન બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોનધારકોએ મળીને 82 લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું. જેમાં આરોપીઓએ નોકરીનું સ્થળ ખોટું બતાવી, બનાવટી પગાર સ્લિપ્સ રજૂ કરી. બ્રાન્ચ મેનેજરે દસ્તાવેજોની ચકાસણી વિના લોન મંજૂર પણ કરી દીધી. આ બંને કૌભાંડોને મળીને કુલ 5.57 કરોડ રૂપિયાની લોન ગેરકાયદે રીતે આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે કુલ 31 આરોપી સામે ગુનો નોંધ્યો છે. અત્યાર સુધીમાં 18 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાથે પોલીસે 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે.
— Tv9 Gujarati (@tv9gujarati) July 26, 2025
દાહોદના SBI બેન્કમાં લોન કૌભાંડની ઘટનામાં અમદાવાદના 3 લોન એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આશ્રમ રોડ પરના ઇઝી ફાયનાન્સના 3 લોન એજન્ટ સકંજામાં આવ્યા છે. ખોટી રીતે લોન અપાવી કમિશન પેટે 2 થી 3 લાખ રૂપિયા લેતા હતા. પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એજન્ટો દ્વારા બેન્ક મેનેજરનું કમિશન તેમના ભાઇના ખાતામાં ટ્રાન્સફર કરાતું હતું.