શિક્ષણના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર ફરી એકવાર લાગ્યું છે કલંક.. યુનિવર્સિટી જાણે લંપટ પ્રોફેસરોનો અખાડો બની ગઇ હોય તેમ લાગે છે.જે ગુરુઓ શિક્ષણના પાઠ શીખવે છે તે જ પાપાચારી બની જતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભણવું વિદ્યાર્થિનીઓ માટે પડકારજનક બની ગયું છે.. આવું પ્રથમવાર નહીં પાંચવાર બન્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ પર લાગ્યો છે સનસનીખેજ આરોપ.. ઉપલેટાની M.P.Edની એક વિદ્યાર્થિનીએ ડો. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી છે. જેમાં આરોપ મુક્યો છે કે, વર્ષ 2018-2019માં M.P.Edમાં અભ્યાસ કરતી હતી ત્યારે ડૉ. વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. વિદ્યાર્થિનીએ રજૂઆત કરી છે કે, પ્રોફેસરો દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. જો તેમની વાત હું માનું તો મને M.P.Edમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મેં ગયા વર્ષે 2019-20માં મારું M.P.Ed અધૂરું મૂક્યું હતું. કારણ કે, મને એમ લાગતું હતું કે પ્રોફેસરોના ડરથી કોઇ મને સાથ નહીં આપે.. તેથી મેં આ વાત કોઇની સાથે ન કરતા મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો.
હાલ આ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું છે કે, આ અરજીને યુનિવર્સિટી આંતરિક ફરિયાદ નિવારણ સમિતિને મોકલવામાં આવી છે અને ફરિયાદીને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરવામાં આવશે. એટલું જ નહિં તંત્રએ ખાતરી આપી છે કે, જે કોઇપણ ગુનેગાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને બંનેને 15 દિવસ સુધી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.