સુરતમાં પ્રધાન કિશોર કાનાણીના પુત્રને કર્ફ્યુ ભંગ બદલ જાહેરમાં ખખડાવ્યાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને તે પછી હમણાં પોલીસ કર્મચારીઓએ હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી. આ બન્ને બાબતોને ધ્યાનમાં લઇ પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે એક હુકમ જાહેર કર્યો છે અને પોલીસકર્મીઓના સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી છે. પરિપત્ર અનુસાર, કોઇપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી કોઇપણ બાબત અંગેની ટીકા કે મંતવ્ય તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરી શકે એટલું જ નહિં સરકાર કે પોલીસ વિભાગ વિરુદ્ધ ટીપ્પણી પણ તેઓ નહીં કરી શકે. જો કોઇ પોલીસકર્મી ખાનગી હેતુ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તો તેણે સ્પષ્ટ કરવું પડશે કે તે પોસ્ટમાં તેનો વ્યક્તિગત અભિપ્રાય છે.
કોઇપણ પોલીસકર્મીએ સોશિયલ મીડિયા પર એવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબીને નુકસાન થાય અને સરકારી કે પોલીસ વિભાગની બદનામી થાય. માત્ર સરકાર કે વિભાગ સામે જ નહીં કોઇ જાતિ, ધર્મ, રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે. માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગૃપમાં રહી શકે છે. આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે.