અમદાવાદમાં ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન આવતીકાલે વધુ ઉગ્ર બની શકે છે. અમદાવાદ શહેર વાલ્મિકી એકતા સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મંગળવારે મંજૂરી મળે કે ન મળે, પરંતુ તે દિવસે દાણાપીઠ AMC ઓફિસ અને રિવર ફ્રન્ટહાઉસ પર ધરણા અને ઘેરાવ કરવામાં આવશે. આ ઘેરાબંધી અન્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાશે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી કચરો નહિ ઉપાડવામાં આવે.. નોકર મંડળ સાથે ભારતીય મજદૂર સંઘે પણ સફાઇ કામદારોને ટેકો જાહેર કર્યો છે અને સાથે જ આ સમિતિને ટેકો આપવા અન્ય એએમટીએસ, બીઆરટીએસ, હોસ્પિટલો સહિતના યુનિયનો પણ આગળ આવે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે સફાઈ કામદારોની હડતાળને પગલે છઠ્ઠા દિવસે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા હતા જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિલીફ રોડ, બોડકદેવ, ભૂયંગદેવ, વેજલપુર, જમાલપુર સહિત પશ્ચિમ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે.