
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ફરી માથું ઉચક્યું છે, જેના કારણે છ વર્ષના એક બાળકનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાએ સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચાવી દીધી છે અને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મૃત્યુ પામેલો બાળક ચાર દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર અર્થે હિંમતનગર આવ્યો હતો.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. બાળકના મૃત્યુ બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જોકે, જિલ્લા આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે તેઓ છેલ્લા 12 દિવસથી આ ગંભીર બીમારીની બાબત છુપાવી રહ્યા છે. આટલા લાંબા સમયથી ચાંદીપુરા વાયરસ હિંમતનગરમાં વકરી રહ્યો છે તેમ છતાં આરોગ્ય વિભાગે કોઈપણ પ્રકારના સાવચેતીના પગલાં અંગે સોશિયલ મીડિયા પર કે અન્ય કોઈ માધ્યમથી જાહેર જનતાને જાણ કરી નથી.
મહત્વપૂર્ણ છે કે, આ વાયરસના કારણે અગાઉ પંચમહાલ, બનાસકાંઠા અને રાજસ્થાનના દર્દીઓના પણ મૃત્યુ નીપજી ચૂક્યા છે. હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ મળીને જોતાં, અત્યાર સુધીમાં સાત જેટલા બાળકોને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર આપવામાં આવી હતી. તે પૈકી ત્રણ બાળકોના મૃત્યુ થયા હોવાની વિગતો સામે આવી રહી છે, જ્યારે એક બાળકને સારવાર બાદ રજા આપવામાં આવી છે અને બે બાળકો હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જો દર્દીની સ્થિતિ સુધરે તો તેને સામાન્ય વોર્ડમાં ખસેડવામાં આવે છે. જોકે, ગત 26 જૂનથી ચાંદીપુરા વાયરસના દર્દીઓ સામે આવી રહ્યા છે, ત્યારથી આરોગ્ય તંત્ર જાણે કે બેદરકારી દાખવી રહ્યું હોય અથવા આ મામલાને છુપાવવાનો પ્રયાસ કરતું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
હાલ સારવાર હેઠળના બે બાળકો શંકાસ્પદ લક્ષણો ધરાવે છે. જિલ્લા આરોગ્ય તંત્ર છેલ્લા 12 દિવસથી આ ગંભીર મામલામાં કોઈ એક્શન મોડમાં જોવા મળ્યું નથી. તંત્ર દ્વારા બાળકોને ભેજવાળા વાતાવરણમાં કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગેની કોઈ અપીલ કે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું નથી. આ પ્રકારની બેદરકારીને કારણે જિલ્લા આરોગ્ય તંત્ર હાલ સવાલોના ઘેરામાં આવ્યું છે. જોકે, સિવિલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ સારવાર હેઠળના બંને બાળકોની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
નવસારીના પૂર અંગે મુખ્યમંત્રીએ લીધી ઉચ્ચસ્તરીય બેઠક, પાળા નિર્માણ અને રસ્તાઓની ગુણવત્તા પર ભાર