ગણેશ મહોત્સવ (Ganesh Mahotsv) ની શરુઆત થવાને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે. ગણેશજીની વિવિધ પ્રતિમાઓ આ દિવસો દરમ્યાન ખૂબ જ આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. આ દરમ્યાન સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઇડરના બડોલીની યુવતીઓ અને મહિલાઓ નારિયેળના છોતરાંઓમાંથી ગણેશજીની પ્રતિમાઓ બનાવે છે. સંપૂર્ણ ઇકોફ્રેન્ડલી ગણેશજીની (Eco friendly Ganesh) મુર્તીઓની માંગ પણ ખૂબ રહેતી હોય છે. નાનકડા ગામની આ મહિલાઓ ગુજરાત અને તેની બહાર પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાને લઈ જાણીતી બની છે. અહીંથી અનેક મોટા શહેરોમાં ગણેશજીની પ્રતિમાઓ પહોંચતી હોય છે.
સાબરકાંઠાનુ બડોલી એટલે હવે અહીંને ગણેશજીની મૂર્તીઓને લઇને વધારે ઓળખ ધરાવે છે. અહી મોટા પ્રમાણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનુ નિર્માણ કરવામાં આવે છે. અહીં સ્થાનિક યુવતીઓ અને મહિલાઓ નારિયેળના છોતરાંઓમાંથી ગણેશજીના પ્રતિમા બનાવે છે. ગણેશજીની પ્રતિમા સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સાઇઝ અને તેને લગતી ગાઈડ લાઈન મુજબ બનાવાઈ રહી છે. બડોલીમાં હાલમાં પ્રતિમાઓ તૈયાર કરવાનુ કાર્ય પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહ્યુ છે. આ મહિલાઓ દ્વારા સંપૂર્ણ પણે ઇકો ફ્રેન્ડલી મુર્તીઓ અહી બનાવાય છે. હાલમાં ગણેશ મહોત્સવ હોવાને લઈ વહેલી સવાર થી મોડી રાત સુધી મહીલાઓ દ્વારા મુર્તી નિર્માણ કરવાનુ કાર્ય ચાલી રહ્યુ છે.
ટીવી9 દ્વારા ઈકો ફ્રેન્ડલી મૂર્તી બનાવતી મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. અહીં કામ કરતી આર્ટીસ્ટ શ્રુતી દરજી કહે છે, અમે અહી દરરોજ નિયમીત રુપે ગણેશજીની પ્રતિમા બનાવીએ છીએ. જ્યારે અરુણા પરમાર કહે છે, અમે ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવા માટે નારિયલેના છોતરાનો ઉપયોગ કરીએ છીએ. સાથએ જ ઉનના દોરા અને કાપડ તેમજ માટીનો ઉપયોગ કરીએ છીએ, જેથી પાણીમાં નાંખવા થી તે સરળતા થી ઓગળી જાય છે. આર્ટીસ્ટ ફાલ્ગુની વણકર કહે છે, સવાર થી લઈને મોડી રાત સુધી હાલના દિવસોમાં અમે કામ કરીએ છીએ, હું અહીં ગણેશજીને તૈયાર મુર્તીઓને સજાવટ કરવાનુ કામ કરુ છું.
આસપાસના ધાર્મિક મંદિરો પાસે થી નારિયેળના છોતરાઓનો વેસ્ટ યુવતીઓ દ્વારા લઇ આવવામાં આવે છે. ત્યાર બાદ તેને સાફ કરવામાં આવે છે. સાફ કરેલ છોતરાંઓના રેસા વડે તેના ગુચ્છા અને પડ તૈયાર કરવામાં આવે છે. જેના ઉપયોગ વડે ગણપતિની સુંદર પ્રતિમાઓનુ નિર્માણ શરુ કરવામાં આવે છે. પ્રતિમાની ઉપરનો શણગાર પણ સંપૂર્ણ પણે ઇકો ફ્રેન્ડલી રાખવામાં આવે છે. આમ સુંદર સજાવટ સાથે ઇકો ફ્રેન્ડલી પ્રતિમાંઓને તૈયાર કરવામાં આવે છે. આ માટે લગભગ 35 જેટલી મહિલાઓ પોતાના ઘર કામ સિવાયના સમયમાં વારાફરતી આ કામ માટે જોડાય છે. અહિની પ્રતિમાઓની માંગ અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઇ સુધી રહેતી હોય છે.
મહિલાઓ દ્વારા નિર્માણ કરાતી મુર્તીઓના આ કાર્યના સંચાલક અને માર્ગદર્શક ઇન્દુસિંહ રાઠોડે કહ્યુ અમારી પર પ્રતિમાઓની માંગના ખૂબ ફોન આવે છે. ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવીએ છીએ, માટે જ તેની માંગ અમદાવાદ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં રહે છે.