
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ના નામનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.રાજ્યભરના ભાજપના કાર્યકર્તાઓ નામને લઇને આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મિડીયાના ગ્રુપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ઉદય કાનગડનું નામ નક્કી છે તેવી પોસ્ટ મુકવામાં આવી છે એટલું જ નહિ પોસ્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ઉદય કાનગડ આગામી ૬ એપ્રિલના રોજ વિધીવત નામ જાહેર થયે વિધીવત રીતે ચાર્જ સંભાળશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર ૧ ના વોટ્સઅપ ગ્રુપમાં આ પોસ્ટ વાયરલ થતાં ગુજરાતમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઇ છે.
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ઓબીસી નેતાને સ્થાન મળી શકે છે આ વાતની ચર્ચાઓ વચ્ચે ઉદય કાનગડનું નામ ચર્ચામાં આવ્યું હતું. અગાઉ પણ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના નામની ચર્ચાઓ ચાલી હતી તેની વચ્ચે આ પોસ્ટ વાયરલ થતાં ચર્ચાઓ શરૂ થઇ છે.
ઉદય કાનગડ રાજકોટ ભાજપના સિનીયર આગેવાન છે. હાલમાં તેઓ રાજકોટ પૂર્વના ધારાસભ્ય છે તથા પ્રદેશ બક્ષીપંચ મોરચાના વરિષ્ઠ આગેવાન છે. ભાજપ દ્રારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી જેમાં ઉદય કાનગડને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.સી આર પાટીલ સાથે ઘરોબો ધરાવતા ઉદય કાનગડને પ્રદેશ અથવા સરકારમાં મહત્વની જવબદારી મળે તેવી પૂરી શક્યતાઓ વર્તાઇ રહી છે.
એક તરફ ઉદય કાનગડના પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચાઓ ચાલી રહી છે બીજી તરફ ઉદય કાનગડે તાજેતરમાં જ દિલ્લીની મુલાકાત લીધી છે. દિલ્લીમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના આગેવાનોની સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના નવા સંગઠનની નિમણૂકો અને પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી છે. તેની વચ્ચે ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે તે સસ્પેન્સ છે. ભાજપ હંમેશા અપસેટ સર્જવા માટે તૈયાર હોય છે ત્યારે જોવાનું રહેશે ચર્ચાના ચકડોળે ચડેલા ઉદય કાનગડના નામને કેન્દ્રીય ભાજપનું નેતૃત્વ પસંદ કરે છે કે કેમ ?
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:46 pm, Sat, 5 April 25