
જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયા દ્રારા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિમાં લાગણીના વાવેતર શાહી સમુહલગ્નોત્સવનું આયોજન કરાયું છે. આગામી 24 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ આ જામકંડોરણા ખાતે આ સમુહલગ્નોત્સવ યોજાશે. જેમાં 165 જેટલા નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. રાદડિયા પરિવાર દ્રારા યોજાતા આ સાતમાં સમુહ લગ્નોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજરી આપશે.
રાજ્યભરના લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો પણ આ ભવ્ય સમુહલ ગ્નોત્સવમાં દંપતીને આર્શિવાદ આપશે. જેને લઈને હાલ જામકંડોરણામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ કાર્યક્રમનું સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં થઇ રહ્યું છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે એક સુખી સંપન્ન પરિવાર લગ્ન કરે તે જ રીતે જાજરમાન લગ્નનું આયોજન કરાયું છે. જેમાં 22 તારીખે બપોરે બે વાગ્યે ભવ્ય વરઘોડો જામકંડોરણા ગામમાંથી નીકળશે. જેમાં 25 વિન્ટેજ કાર, ખુલ્લી જીપ, શણગારેલી મોટર કાર અને ઘોડાના કાફલા સાથે આ વરઘોડો નીકળશે. વરઘોડામાં પાંચ ડીજેના વાહનો, ઢોલ મંડળીઓ, બેન્ડવાજાના ગ્રૃપ જોડાશે અને સતત એક કલાક સુધી આ વરઘોડો જામકંડોરણાના મુખ્ય માર્ગો પર ફરશે. ત્યારબાદ લગ્નવિધીની શરૂઆત થશે.
એક દીકરી પિતાના ઘરેથી વિદાય લે ત્યારે તેને ઉપયોગી જીવન જરૂરી તમામ વસ્તુઓ પિતા કરિયાવર સ્વરૂપે આપતા હોય છે. જે દરેક પિતા દીકરીને લાગણીથી આપે હોય છે. ત્યારે આ સમૂહલગ્નોત્સવમાં પણ જયેશ રાદડિયા દ્રારા ભાગ લેનાર દંપતીને 123 આઇટમો કરિયાવાર સ્વરૂપે આપવામાં આવશે. જેમા સોનાના દાણા 2 નંગ, ફ્રિઝ, ડબલ બેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજા અને વરકન્યા માટે સૂટ આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતા, સાવજનું કાળજું બુક પણ કરિયાવારમાં અર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot: ડૉ અતુલ ચગ આત્મહત્યા કેસની ન્યાયિક તપાસની લોહાણા સમાજે કરી માગ, જિલ્લા કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર
આ સમુહલગ્નમાં 165 જેટલા યુગલોના પરિવારજનો ઉપસ્થિત રહેશે. સાથે સાથે જામકંડોરણા અને આસપાસના લોકો તેમજ ગુજરાતભરમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે. જેમના માટે રહેવાની તથા જમવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમુહલગ્નના દિવસે એક લાખ લોકો એકસાથે ભોજન લે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે જામકંડોરણા ખાતે ભવ્ય રસોડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગની આખી વ્યવસ્થામાં જામકંડોરણા તાલુકાના 4 હજાર જેટલા નવયુવાનો સ્વયંસેવક તરીકે કામગીરીમાં જોડાશે અને ભવ્યતિભવ્ય લગ્ન ઉજવશે.