રાજકોટની (Rajkot News) સિવિલ હોસ્પીટલમાં થોડા દીવસો પહેલા માનવતાને લાંછન લગાડતી ઘટના સામે આવી હતી. જેમાં હોસ્પિટલના વોર્ડ નંબર 10માં દાખલ વૃદ્ધાને વોર્ડ બહાર (Rajkot Civil hospital) કરી દેવામાં આવ્યા હતા. જેનો વિડીયો પણ સોશીયલ મીડીયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ હોસ્પીટલના તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા અને સમગ્ર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પીટલના અધિક્ષક દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 7 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બે નર્સિગ સ્ટાફની બદલી કરવામાં આવી છે.
જુનિયર રેસિડેન્ટ ડો.આશ્કા કારિયા અને ડો. વિજય મકવાણાને 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ઈન્ટર્ન ડો. હિત બાબરિયા અને ડો. હર્ષ સિંઘને 3 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. સિનિયર રેસિડેન્ટ ડો. જયસન ધામેચા અને ડો. ભરત ચૌધરીને 7 દિવસની બિનપગારી રજા પર ઉતારાયા છે. તેમજ નર્સિંગ સ્ટાફ પારૂલ ગળચર અને રાહુલ પટેલની ઓર્થોપેડિક વિભાગમાં બદલી કરી દેવામાં આવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને લાંછન, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા વૃદ્ધાને વોર્ડ બહાર કરાયા#doctor #civilhospital #rajkotcivilhospital #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/9IrDCmajG2
— Tv9 Gujarati (@tv9gujarati) July 3, 2022
મળતી માહિતી મુજબ મોરબીના હસીનાબેનને સારવાર માટે શુક્રવારે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે સવારે સાડા 10 વાગ્યે વોર્ડમાંથી બહાર કાઢી મૂકાયા હતા. નવાઈની વાત તો એ છે કે, રેસિડેન્ટ તબીબની સૂચનાથી આયા બહેને વ્હીલચેર પર બેસાડી વૃદ્ધાને બહાર નવી હોસ્પિટલ સામે આવેલા બાંકડા પર મૂકી દેવાયા હતા. વૃદ્ધાની હાલત એટલી ગંભીર હતી કે તેઓ જાતે હલન-ચલન પણ કરી શકતા ન હતા. જો કે, હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્પિટલના તબીબોએ રજિસ્ટરમાં વૃદ્ધા જાતે નાસી ગયાનું જણાવ્યુ.
સામાન્ય રીતે હોસ્પીટલને આરોગ્ય મંદીર કહેવામાં આવે છે, જ્યારે ડોક્ટરને ઈશ્વરની ઉપમા આપવામાં આવે છે. દર્દીઓ પણ ડોક્ટરને ભગવાન માનીને નવા જીવનની આશાએ હોસ્પીટલમાં જતા હોય છે ત્યારે સિવિલ હોસ્પીટલના ડોક્ટરોના આવા કૃત્યથી તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા. ડોક્ટરો પોતાની ફરજ ભુલી ગયા હતા અને માનવતાને કલંક લગાડતી ઘટના સામે આવી હતી. ત્યારે સિવિલ હોસ્પીટલની અધિક્ષકની કાર્યવાહીથી હોસ્પિટલના સ્ટાફમાં ચોક્કસપણે કડક સંદેશ જશે.