લોક સાહિત્યકાર દેવાયત ખાવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટમાં દેવાયત ખાવડે એક શખ્સ સાથે મળીને મયુરસિંહ રાણા નામના શખ્સ પર હુમલો કર્યો છે. ધોકા-પાઈપ જેવા હથિયાર વડે હુમલામાં મયુરસિંહ રાણાના બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત મયુરસિંહ રાણાને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દેવાયત ખાવડ દ્વારા હુમલો કરાયાની સમગ્ર ઘટના હાલમાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ પાર્કિગના મુદ્દે થયેલી માથાકૂટ મામલે આ હુમલો કરાયો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Mayursinh Rana was allegedly attacked by Devayat Khavad and one more person in #Rajkot#Gujarat #TV9news pic.twitter.com/76qTVLJ6cS
— Tv9 Gujarati (@tv9gujarati) December 7, 2022
રાજકોટના કાલાવડ રોડ પર આવેલી રવિ રત્ન પાર્ક સોસાયટીમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે કાર પાર્કિંગ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને લાકડી લઈને તેના જ પાડોશીને મારવાનો પ્રયાસ કર્યો હતો. માથાકૂટ થતા લોકો એકઠા થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી, જો કે બંન્ને વચ્ચે સમજાવટ બાદ સમાધાન થયું હતુ અને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
લોકસાહિત્યકાર દેવાયત ખવડ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. સોશિયલ મીડિયામાં એક યુવતી સાથેના શાબ્દિક યુધ્ધ હોય કે પછી પૂર્વ મુખ્યમંત્રીના નિવેદનની મશ્કરી હોય. આ ઉપરાંત ડોક્ટરોએ કોરોનામાં રૂપિયા લૂંટયા હોય તેવા નિવેદનથી ભૂતકાળમાં ઘણા વિવાદમાં આવ્યા હતા.
લોક સાહિત્યકાર દેવાયત ખવડને થોડા દિવસ પહેલા ધમકી મળવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર અને DGPને વકીલ દ્વારા નોટિસ પાઠવી હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જીવનું જોખમ હોવાની અરજી કરી હોવા છતાં ફરિયાદ ન નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે 16 ઓકટોબરે જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. લંડન સ્થિત જીત રોહિત મોડાસિયા નામના વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં નોટિસ પાઠવવામાં આવી હતી.